પરિવારનો આક્ષેપઃ તબીબોની બેદરાકારીએ 11 માસની બાળકીનો ભોગ લીધો
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી 11 માસની બાળકીનું સિટિ સ્કેન માટે આપવામાં આવેલ ઇન્જેક્શનને કારણે મૃત્યુ થવાનો પરિવારજનોએ આક્ષેપ મુક્યો છે.
અમદાવાદમાં વટવા વિસ્તારની 11 માસની એક બાળકીને સિટી સ્કેન માટે બેહોશીનું ઇન્જેક્શન આપ્યા મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનો અનુસાર, સિટી સ્કેન માટે એનેસ્થેસિયા ઇન્જેકશન આપ્યા બાદ બાળકી એક વખત રડી અને પછી તેનું મૃત્યુ થયું હતું. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકીના મોતનું ખરું કારણ જાણવા મળશે.
મળતી માહિતી મુજબ વટવા વિસ્તારમાં આવેલા શાંતિનગર વિભાગ-૩માં સંતોષભાઇ પુનેકર, તેમની પત્ની, માતા અને 11 માસની બાળકી આરાધ્યા સાથે રહે છે. આરાધ્યાને હૃદયની તકલીફ ઊભી થતા મણિનગરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. તબિયત સામાન્ય ન થતાં હોસ્પિટલ દ્વારા ઇન્ફોકસ ઇમેજિંગ સિટી સ્કેન સેન્ટરમાં સિટી સ્કેન કરાવવાની સલાહ આપવામાં આવી હતી. બાળકીને સિટી સ્કેન કરાવવા લઇ ગયા ત્યાં તેને એનેસ્થેસિયાના ઇન્જેક્શન અપાયાં હતાં. સિટી સ્કેનમાંથી બહાર લાવ્યા બાદ બાળકી એક વખત રડી અને ત્યાર બાદ બાદ તેનું હૃદય બંધ થઇ ગયું હતું. તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કરી હતી.
પરિવારજનોએ આક્ષેપ મુક્યો છે કે, બેહોશીનું ઇન્જેકશન આપ્યા બાદ બાળકીનું મોત થયું છે. બીજી બાજુ પરિવારજનોએ પોલીસને જાણ કર્યા છતાં વિસ્તારની હદને લઇ પોલીસ બીજા પોલીસ સ્ટેશન પર આ મામલો ઢોળી રહી હતી. જો કે, મોડેથી જાગેલી પોલીસ માસુમ બાળકીના મૃત્યુ અંગે લઇ ગંભીરતાથી તપાસ કરી રહી છે. હાલ બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.