મોદી બાદ હવે આનંદીબેને કરી ખાદી ખરીદવાની અપીલ
અમદાવાદ, 19 જાન્યુઆરી: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અમદાવાદમાં ખાદી ફેશન-શો ‘હટ્સ ટુ હાઇ સ્ટ્રીટ'નો પ્રારંભ કરાવતાં દરેક પરિવારને ઓછામાં ઓછું એક ખાદી વસ્ત્ર-પરિધાન ખરીદ કરીને ખાદી વણાટ પરિવારો-કારીગરોના જીવનમાં આર્થિક આધાર બનવાની હાર્દભરી અપીલ કરી હતી. અત્રે નોંધીનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના 'મનની વાત' કાર્યક્રમમાં દેશના લોકોને એક કપડું ખાદીનું ખરીદવાની અપીલ કરી હતી.
આનંદીબહેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તકલીને તાંતણે આઝાદી મેળવવાનો જે સંકલ્પ કરેલો તેની યાદ અપાવતા જણાવ્યું કે, સ્વરાજપ્રાપ્તી માટેની પૂજય બાપુની આ ખાદીક્રાન્તી આજે પણ સાદગી અને રાષ્ટ્રીયતાનું ઘોતક પ્રતિક બની છે. આનંદીબહેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘મેઇક ઇન ઇન્ડીયા'ના તથા ‘સ્કીલ ઇન્ડીયા'ના સંકલ્પને પાર પાડવા ખાદીના હૂન્નરને ટેકનોલોજી સાથે જોડી વેલ્યુએડીશન તથા બજાર વ્યવસ્થાની માર્કેટ ચેઇન સુદ્રઢ બનાવવાની પ્રતિબધ્ધતા પણ દર્શાવી હતી.
વાયબ્રન્ટ સમિટ-ર૦૧પના ઉપલક્ષ્યમાં યોજાયેલા ખાદી ઉત્સવમાં ૧૬ રાજ્યોના સ્ટોલ્સ અને ગુજરાતના ૧૪૦ ઉપરાંત સ્ટોલ્સથી ગ્રામોદ્યોગ હસ્તકલા-વણાટ કારીગરો ભાગીદાર બન્યા હતા અને ર૧ દિવસના આ ઉત્સવમાં રૂ. ૭.૩૬ કરોડના ખાદી ગ્રામોદ્યોગ ઉત્પાદનના વેચાણનો વિક્રમ સર્જાયો છે તે માટે ખુશી વ્યક્ત કરતાં અભિનંદન પણ પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન ખાદી ખરીદીને ઉત્સવનું સ્વરૂપ આપી જનજનને ખાદી વસ્ત્ર ખરીદી માટે પ્રેરિત કરીને ગરીબ-અમીર વચ્ચેની આર્થિક અસમાનતા દૂર કરવાનો પ્રસંશનીય પ્રયાસ કર્યો હતો તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી. આ ખાદી ફેશન-શો માં વિશાળ સંખ્યામાં નાગરિકો-આમંત્રિતો અને ખાદી ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા સેવા-સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.