કેજરીવાલને લઇને સુરતમાં પોસ્ટર વોર, બિન લાદેન સાથે પોસ્ટરમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આજે સાંજે આવશે. પણ તે પહેલા તેમની વિરુદ્ધ સુરત અને રાજ્યભરમાં પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. સુરતમાં જ લગાવવામાં આવેલા એક પોસ્ટરમાં કેજરીવાલને ઓસામા બિન લાદેન, હાફિઝ સઇદ અને બુરહાન વાની સાથે બતાવવામાં આવ્યા છે અને ઉપર લખવામાં આવ્યું છે કે તે પાકિસ્તાનના હિરો છે.
આજે સાંજથી કેજરીવાલની ગુજરાત યાત્રા શરૂ, જાણો આખો કાર્યક્રમ
નોંધનીય છે કે આજે સાંજે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તે મહેસાણા જશે. અને ત્યાર બાદ ઊંઝા, વડોદરા અને છેલ્લે 16મી તારીખે સુરત ખાતે જનસભાને સંબોધશે. તે પહેલા જ સુરત ભરમાં આવા વિવિધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીમાં વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આવા પોસ્ટર ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં "છલિયા"
અમદાવાદમાં કેજરીવાલને જૂઠ્ઠા અને છલ કરનાર છલિયા કહીને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં જણાવ્યું છે કે કેજરીવારે દિલ્હીમાં ખોટી ખોટી વાતમાં લોકોને ભમરાવ્યા છે અને હવે ગુજરાતમાં પણ જુઠ્ઠાણું ફેલાવવા આવી રહ્યા છે.
ભષ્ટ્રાચારી કેજરી
તો કેટલીક જગ્યાએ કેજરીવાર અને આમ આદમી પાર્ટીને ભષ્ટ્રાચારી પણ કહેવામાં આવ્યા છે. નોંધનીય છે કે કેજરીવાલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઇમાનદાર સરકાર ઇચ્છે છે. જેના જવાબમાં આ રીતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
કેજરીવાલ અને આસારામ
તો કેટલાક પોસ્ટમાં કેજરીવાલને બળાત્કારના આરોપી એવા આસારામ બાપુ સાથે પણ રજૂ કરવામાં આવ્યા છે. અને તેમનો આ રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની હિરો
તો સુરતના આ પોસ્ટમાં બિન લાદેન અને અન્ય આતંકીઓ સાથે કેજરીવાલને પાકિસ્તાનનો હિરો ગણાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક પછી તેના પુરાવા માંગ્યા હતા. જેનો ભારે વિરોધ થયો હતો. અને ભાજપે પણ તેમને પાકના હમદર્દ ગણાવ્યા હતા.
ભાજપનું ગઢ
એટલું જ નહીં સુરતમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે કે સુરતના આ વિસ્તારનું દરેક ઘર ભાજપનું છે કેજરીવાલે અહીં પગ મૂકવો નહીં.
કેજરીવાલનો આરોપ
નોંધનીય છે કે આ પહેલા પણ કેજરીવાલના પોસ્ટર પર કાળી સાહી પોતવામાં આવી હતી. અને તેના પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા. જે અંગે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકારે ભાજપે દોષી ગણાવી હતી.