કોન્સ્ટેબલની હત્યા મામલે વડસર પાસેથી 4 શખ્સો ઝડપાયા
અમદાવાદનાં દેત્રોજ પોલીસ મથકના કોન્સ્ટેબલની છરી મારી હત્યા, અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલામાં અન્ય હોમગાર્ડ જવાન ઘાયલ.
દેત્રોજ બસ સ્ટેન્ડ પાસે ગત મોડી સાંજે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇ મોતીભાઇ મકવાણા અને કનુજી મફાજી હોમગાર્ડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ પોલીસ કર્મી વિનોદ મકવાણાને છાતીના ભાગે 2 ઘા માર્યા હતા, તેમજ હોમગાર્ડ કનુજી મફાજી ઠાકોરને પેટના ભાગે 2 ઘા માર્યા હતા.
પોલીસ કર્મીઓ પર હુમલો કરી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દેત્રોજ આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા કડી ભાગ્યોદય હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિનોદ મકવાણાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે હોમગાર્ડ કનુજી મફાજી ઠાકોરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
મળતી માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ વિનોદ મોતીભાઇ પરમાર નામના ટ્રાફિક જવાન બાઇક ચાલકને રોકતા અને લાફો મારતા આ માથકુટ થઇ હતી. આરોપીએ ગુસ્સામાં બીજા બે સાગરીતને બોલાવી પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. હાલ તો વિરમગામ, માંડલ, દેત્રોજ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેત્રોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કોન્સ્ટેબલની હત્યાના ગુના હેઠળ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વડસર પાસેના ફાર્મ હાઉસમાં આ ચારેય આરોપીઓ છુપાયેલા હતા, જેમની જિલ્લા એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
સોમવારના રોજ દેત્રોજ પોલીસ મથકના કોન્સ્ટેબલ વિનોદ મકવાણાનો મૃતદેહ પોલીસ રક્ષણ સાથે તેમના નિવાસસ્થાન વિરમગામ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી અને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
{promotion-urls}