નલિયા સામુહિક દુષ્કર્મકાંડમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા કચ્છનાં નલિયા સામુહિક દુષ્કર્મકાંડમાં બુધવારે પોલીસની તપાસનીશ ટીમે કોર્ટમાં આઠ આરોપીઓ સામે 474 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.
કચ્છનાં નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે નલિયા કોર્ટમાં ભાજપ નેતાઓ સહીત આઠ આરોપીઓ સામે 33 પાનાનાં તહોમતનામા સાથે 474 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. નલિયા કાંડમાં ભાજપનાં નેતાઓની સંડોવણી હોવાથી આખો મામલાએ રાજકીય રંગ પકડ્યો હતો. શાસક અને વિપક્ષે એક બીજા ઉપર આક્ષેપબાજી કરી હતી.
કેસની તપાસ પૂર્ણ થયા બાદ બુધવારે પોલીસે ભાજપ નેતાઓ સહીત 8 આરોપીઓ સામે નલિયાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં 33 પાનાનું તહોમતનામું, 42 પંચનામા, 140 સાક્ષી, 13 પુરાવા મળીને કુલ 474 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઇ હતી. આ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, બે આરોપીઓની હજુ સુધી ઓળખ થઇ શકી નથી, તેથી હાલ 8 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે.
Read also: બિલકિસ બાનો કેસમાં કોર્ટે ફગાવી અરજી, જાણો વિગતવાર
વિપક્ષ નેતા દ્વારા નલિયા સામૂહિક દુષ્કર્મકાંડની તપાસ માટે હાઈકોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસની માંગ અને નલિયાથી ગાંધીનગર યાત્રા કર્યા બાદ સરકાર દ્વારા દુષ્કર્મકાંડની તપાસ માટે હાઈકોર્ટનાં નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવા અંગે વિધાનસભામાં જાહેરાત કરી હતી. તપાસ માટે નિવૃત્ત જજ એ.એલ. દવેની નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ વિરોધ પક્ષ પણ પાણીમાં બેસી ગયું હતું. પોલીસ સામે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તપાસ બરાબર કરતી નથી અને આરોપીઓને પણ સુવિધા આપવામાં આવે છે. સરકારે તપાસનું મોનિટરિંગ કરવા સીઆઈડીના ડીઆઈજીની આગેવાની હેઠળ ટીમનું ગઠન કર્યું હતું. જેને પગલે સીઆઈડીનાં ડીઆઈજી શશિકાંત ત્રિવેદી પણ કચ્છ આવી ગયા હતા અને તેમણે તપાસનું મોનીટરીંગ કર્યું હતું.