અમદાવાદની 140મી રથયાત્રા અને રથયાત્રાનું મહત્વ
રથાયાત્રાના આરંભ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે પહિંદવિધિ કરી હતી.
અમદાવાદ શહેરમાં રવિવારે ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા યોજવામાં આવી હતી. આ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સવારે 4 વાગ્યાની મંગળા આરતીમાં હાજરી આપી હતી. અભિનેતા અને અમદાવાદથી લોકસભાના સાંસદ એવા પરેશ રાવલ પણ ભગવાન જગન્નાથના દર્શનાર્થે રથયાત્રામાં હાજર રહ્યા હતા.
ગોવાળવેશમાં ભદવાન જગન્નાથ
અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજાય છે અને આ માટે લોકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળે છે. રવિવારે 19 ગજરાજ સાથે નીકળેલ ભગવાન જગન્નાથી રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ-મહેરામણ ઉભરાયું હતું. આજે પહેલીવાર ભગવાન જગન્નાથ ગોવાળવેશમાં ચાંદીની પાઘડી ધારણ કરી નગરચરર્યાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ રથમાં બિરાજમાન થયા બાદ સોનાની સાવરણીથી માર્ગ સાફ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રથયાત્રા શરૂ થઇ હતી.
સીએમ રૂપાણીના હસ્તે પહિંદવિધિ
દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ કરી રથયાત્રા શરૂ કરવામાં આવે છે. આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ સવારે 7 વાગ્યે પહિંદવિધિ કરી રથયાત્રાની શરૂઆત કરાવી હતી. સમગ્ર રથયાત્રાના રસ્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 19 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ રથયાત્રા નિમિત્તે ફરજ બજાવી રહ્યાં છે.
અમદાવાદની 140મી રથયાત્રા
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ 400 વર્ષ જુના જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા શરૂ થાય છે. કુલ 14 કિમીનું અંતર કાપી સાંજે રથયાત્રા મંદિરે પરત ફરે છે. આ વર્ષે અમદાવાદની રથયાત્રામાં એક ગજનો ઉમેરો થતાં કુલ 19 ગજરાજ સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. રથયાત્રામાં મંદિરની મૂર્તિઓને સરઘસ રૂપે કાઢી સરસપુર રણછોડજીના મંદિરે લઇ જવાય છે. અહીં વિરામ અને પ્રસાદી બાદ રથયાત્રા ફરી જગન્નાથ મંદિરે પરત ફરે છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રા બીજા નંબરની સૌથી જૂની અને સૌથી મોટી રથયાત્રા છે.
રથયાત્રાનું મહત્વ
1200 ખલાસી, 18 ભજનમંડળી, 19 ગજરાજ અને 2000 સાધુ-સંતો સાથે આ વર્ષની રથયાત્રા નીકળી હતી. અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો 30થી 40 કિલોના પ્રસાદ વહેંચવામાં આવે છે. રથયાત્રાના દિવસે કોઇ પણ વ્યક્તિ રથ ખેંચી શકે છે. સ્કંદપુરાણમાં કેહવાયું છે કે, જે વ્યક્તિ ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન થઇ રથયાત્રામા ભાગ લે અને મંડપમાં બિરાજેલા શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના દક્ષિણ દિશા તરફથી દર્શન કરે, એનો પુનર્જન્મ થતો નથી.