આસ્થા ટ્રેનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી લીલી ઝંડી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે સાબરમતી આશ્રમની શતાબ્દી પર્વ પર ગાંધીજીની યાદમાં શરૂ કરાયેલી આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી.
રાષ્ટ્રપિતા મહાત્માના સત્યાગ્રહની ઓળખ સમા સાબરતી આશ્રમની સ્થાપના શતાબ્દી વર્ષની ઉજવણીના રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ઇન્ડિયન રેલ્વે ટૂરિઝમના ભાગ રૂપે શરૂ કરવામાં આવેલી આ ટ્રેન ગાંધીના જીવન સાથે જોડાયેલા મહત્વના સ્થળોને આવરે છે. આ ટ્રેનનું નામ આસ્થા ટ્રેન રાખવામાં આવ્યું છે. આજે સવારે આઠ વાગે રૂપાણીએ આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન 17 જૂન એટલે કે આજથી 26 જૂન સુધી કુલ 10 દિવસ સુધી મુસાફરી કરીને અનેક મહત્વના સ્થળોની મુલાકાત લઇને પરત ફરશે.
વધુમાં રેલ પ્રધાન સુરેશ પ્રભુએ પણ વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા આ ઘટનામાં ભાગ લઇને લીલી ઝંડી ફરકાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ગાંધીજીએ આ આશ્રમની સ્થાપના 1917માં કરી હતી. ગાંધીજીએ અહીંથી આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. અને આજે પણ અહીં ગાંધીજીની વિચારધારાને આગળ ફેલાવે તેવી પ્રવૃત્તિઓ થતી રહે છે. વળી સરકાર દ્વારા આને ખાસ રીતે વિકસાવવામાં આવ્યું છે. અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આ સ્થળની મુલાકાત લેતા રહે છે.