આદિવાસી વિકાસયાત્રાનું સમાપન, અમિત શાહની હાજરી
અંબાજી ખાતે આજે ભાજપની આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનું અમિત શાહના હસ્તે થશે સમાપન.
શનિવારે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાજપની આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનું સમાપન થયું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજરી આપી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલી આ યાત્રામાં આદિવાસી વિકાસ ગૌરવયાત્રા દ્વારા રૂપાણી સરકારની આદિવાસી યોજનાઓનો અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. 7 ફેબ્રુઆરી 2017થી શરૂ થયેલી આ યાત્રા અનાવલ, ધોળીકુવા, રાણકુવા, રૂમલા, કલવાડા, પારડી અને વાપી ગામો સમતે 15 જિલ્લાના 50 તાલુકાથી પસાર થઇ હતી.
જો કે અંબાજીમાં જ્યાં આ યાત્રાનું સમાપન થઇ રહ્યું છે ત્યારે જ કોંગ્રેસ તરફથી નલિયા દુષ્કર્મ કાંડના વિરોધ પેટે કાળા વાવટા દર્શાવીને આ કાર્યક્રમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીને જોતા ભાજપે કોંગ્રેસ તરફી આદિવાસી વોટને આ ગૌરવયાત્રા દ્વારા પોતાની તરફ ખેંચવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. હાલ ચારે બાજુથી વિરોધ પ્રદર્શન અને રોષથી ઘેરાયેલી ભાજપ માટે આવનારી ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આ ગૌરવયાત્રા ભાજપને આવનારી ચૂંટણીમાં ફળશે કે કેમ તે તો આવનારી ચૂંટણીના પરિણામો જ કહી શકશે.