અમરેલીઃ ખેડૂતોએ હાઇવે પર ડુંગળી ફેંકી કર્યો ચક્કાજામ
ખેડૂતોને ડુંગળીનો યોગ્ય ભાવ ન મળતાં તેમણે ડુંગળીનો પાક હાઇવે પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો, જેને કારણે ટ્રાફિક જામ થયો હતો.
અમરેલી માં બુધવારના રોજ ખેડૂતો દ્વારા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ડુંગળી ના ભાવ ન મળતા ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા. ડુંગળીના પાકના ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. કૃષિ મંત્રી વિ.વિ.વઘાશિયાના મત વિસ્તારના ખેડૂતોએ પાયમાલીથી ત્રસ્ત થઇ ડુંગળીનો પાક રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગાડા, ટ્રેકટર સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ડુંગળી રોડ પર ફેંકી થોડા સમય માટે ચક્કાજામ કરતા ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા હતા.'
ગત વર્ષે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતો દ્વારા આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ડુંગળીનો મબલખ પાક થયો છે પરંતુ સામે તેનો યોગ્ય ભાવના મળતાં આ વર્ષે ડુંગળીએ ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા છે. હાલ ખેડૂતોને એક મણ ડુંગળીના રૂ.25 મળે છે, ડુંગળીના બારદાન ભાવ 30 રૂપિયા છે. હાલ ખેડૂતોને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા ખેડૂતોએ સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યું હતું. ખેડૂતોની માંગ છે કે, સરકાર તેમની પાસેથી ડુંગળી સારા ભાવે ખરીદે.
{promotion-urls}