આણંદમાં આંગણવાડી અને આશા વર્કરોએ રેલી કાઢી કર્યો વિરોધ
ગુરુવારે,આણંદ શહેરમાં આંગણવાડી અને આશા હેલ્થ વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુરુવારે,આણંદ શહેરમાં આંગણવાડી અને આશા હેલ્થ વર્કરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મહિલાઓએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં નામનાં છાજીયા લઈ હાય હાય પોકાર્યું હતું. સાથે વર્કરોએ વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.આણંદ શહેરમાં આંગણવાડી વર્કરો તેમજ આશા હેલ્થ વર્કરો મેદાન પાસે એકત્ર થઈને રેલી કાઢી હતી. આ રેલી ગુરૂદ્વારા સર્કલ ,અમૂલડેરી રોડ થઈ ગણેશ ફાટક પાસે પહોંચતા પોલીસે રેલીને અટકાવી હતી. ત્યાંથી આંગણવાડી અને આશા હેલ્થ વર્કરોનાં આગેવાનોએ કલેકટર કચેરી પહોંચીને કલેકટર ધવલકુમાર પટેલને આવેદનપત્ર આપ્યું હતું.
રેલીનાં માર્ગ પર મહિલા વર્કરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નામની હાય હાય બોલાવી હતી,તેમજ મોદી હાયહાયનાં સુત્રોચ્ચાર કરી મોદીનાં નામનાં છાજીયા લીધા હતા,અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનાં જિલ્લા કન્વીનર કૈલાસબેન રોહીતએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આંગણવાડી વર્કરોને યશોદા મૈયાનું ઉપનામ આપ્યું હતું,પરંતુ તેઓ વડાપ્રધાન બન્યા બાદ તેમના બજેટમાં આંગણવાડી વર્કરો માટે કોઈ વધારાની જાહેરાત કરી નથી, અહીં તેમણે આંગણવાડીઓનાં ભથ્થામાં વધારો કરવાની માંગ કરી હતી,તેમજ આંગણવાડીનું ખાનગીકરણ કરવાનો વિરોધ દર્શાવ્યો હતો,જયારે આશા વર્કરોને પણ ઓછુ વેતન ચુકવી તેઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે, તેવું તેમણે જણાવ્યું હતું.