ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ધરોઈમાં પાણીને કારણે સપ્તેશ્વર મહાદેવ જળમગ્ન
ધરોઇમાંથી છોડાઈ રહેલા પાણીથી સાબરતમી નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે ઇડર પાસે આવેલા પ્રખ્યાત સપ્તેશ્વર મહાદેવ જળમગ્ન બની ગયા હતા. ગઈ કાલે નાગ પાંચમ તથા આજે રાંધણ છઠ નિમિત્તે અનેક શ્રદ્ધાળુઓ તથા આસપાસના લોકો અહીં દર્શનાર્થે આવ્યા હતા, પરંતુ મહાદેવના મંદિરનું ગર્ભગૃહ જળમગ્ન હોવાથી બહારથી ભક્તો પરત ફર્યા હતા.
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારના સૌથી મોટા લોકમેળો આજ સાંજથી શરૂ
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સાતમ આઠમની રજાઓમાં આ મેળામાં માનવ મેદની ઉમટી પડે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં સહેલાણો તથા રાજકોટ વાસીઓ આ મેળાને માણવા ઉમટી પડશે, તેના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને રાજકોટ પોલીસ દ્રારા ખાસ હેઠળ એક અધિક પોલીસ કમિશનર, બે નાયબ પોલીસ કમિશનર, છ મદદનીશ પોલીસ કમિશનર, 19 પોલીસ ઈન્સપેક્ટર, 47 પોલીસ સબ ઈન્સપેક્ટર, 5 મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટર, 993 પોલીસ કર્મીઓ, 35 મહિલા પોલીસ કર્મીઓ, 235 એસ.આર.પી. ફોર્સના જવાનો, 300 હોમગાર્ડના જવાનો, 100 ટ્રાફિક બ્રિગેડ, 16 મહિલા ટ્રાફિક બ્રિગેડ, 30 ટેકનિકલ અધિકારીનો સ્ટાફ મળી કુલ એક હજાર 789 લોકોને બંદોબસ્તમાં રોકવામાં આવ્યા છે.
અમદાવાદના બાપુનગરમાં 8 લાખની લૂંટ
બાપુનગર વિસ્તારમાં ફરી એક વાર લૂંટનો બનાવ બન્યો છે. બાપુનગરથી રખિયાલ તરફ જવાના રોડ ઉપર એક વ્યક્તિ પાસેથી 8 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ કેટલાક શખસો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં બાપુનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે શહેરમાં લૂંટના બનાવો વધવા પામ્યા છે.
વાસણા બેરેજના 21 દરવાજા 7 ફૂટ ખોલાયા
અમદાવાદની સાબરમતી નદીનું ફરી એકવખત રોદ્ર રૂપ જોવા મળે તેવી સ્થિતિ છે અને હાલમાં વાસણા બેરેજના 21 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. સતત વરસાદને પગલે હાલમાં સાબરમતીમાં 54 હજાર ક્યૂસેક પાણીની આવકની સામે 17 હજાર ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે હાલમાં વાસણા બેરેજની સપાટી 125 ફૂટ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણી છોડવાના કારણે સાબરમતીનું જળસ્તર વધવા લાગ્યું છે. જેના કારણે રિવરફ્રંટ વોક વે બંધ કરી દેવાયો છે. અમદાવાદમાં છેલ્લા 2 દવસઈથ વાદળાછાયા વાતાવરણ તેમજ અવાર નવાર આવતા ઝાપટા વચ્ચે ઠંડક પ્રસરી રહી છે.
કોંગ્રેસનો હોબાળો પણ ગૃહમાં જીસેટી બિલ પસાર
ગુજરાત વિધાનસભામાં જીએસટી સુધરા વિધેયક બિલને પસાર કરવામાં આવ્યું છે. ચોમાસું સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસ દ્વારા દલિત આંદોલન અને ગુજરાત મોડેલ તથા કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિત પર ગૃહમાં વિરોધ કરવા છતાં ભાજપ સરકારે ચોમાસુ સત્રના અંતિમ દિવસે જીએસટી બિલ પસાર કરી દીધુ છે.