ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અમદાવાદમાં વહેલી સવારે દિલ્હી દરવાજા પાસે મકાન ધરાશાઈ
અમદાવાદમાં શુક્રવારે વહેલી સવારે દિલ્લી દરવાજા પાસે એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શાહપુર પાસે આવેલી હલીમન ખડકીની નજીક ખજૂરીની પોળમાં મકાન ધરાશાયી થતાં તેમાં એક મહિલા દટાઈ હતી જોકે ફાયર બિગ્રેડન ટીમે આવીને મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. આ મહિલાનું નામ અનિતાબહેન હોવાનું જાણવા મળ્યું છે. મહિલાને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પૂજ્ય મંહત સ્વામીએ કર્યા પ્રમુખ સ્વામીના જન્મસ્થળના દર્શન
ગુરુવારે BAPS આધ્યાત્મિક વડા પૂજ્ય.મહંત સ્વામી બ્રહ્મલીન પ્રરમુખ સ્વામી મહારાજન જન્મસ્થળ ચાણસદ પધાર્યા હતા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખ સ્વામી મહારાજ સહિતની ગુરૂ પરંપરાની આરતી ઉતારી હતી. તેમજ તેમણે બોચાસણમાં સત્સંગ સભાને સૂબોધી હતી.
મોટી સંખ્યામાં હરિભક્તો કર્યા મહંત સ્વામીના દર્શન
બોચાસણમાં મહંત સ્વામીનું ભક્તોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીએ ચાણસદમાં દંડવત પ્રણામ કરીને પોતાની ગુરૂભક્તિ અદા કરી હતી. ભક્તોએ ફૂલોની ચાદર કરીને મહંત સ્વામીનું સ્વાત કર્યુ હતું. મહંત સ્વામીએ અટલાદરા મંદિર ખાતે જનમાષ્ટમી પર્વની સભા કરી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.
છોટા ઉદેપુરમાં રોમિયોથી પરેશાન યુવતીએ કર્યો આપઘાત
છોટા ઉદેપુરના કવાંટ તાલુકાનાં છોડવાણી ગામની 20 વર્ષની આશાસ્પદ યુવતી નામે પાર્વતી ભીલે એક રોમિયોના ત્રાસથી ત્રાસી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. છોટાઉદેપુરનાં સરકારી કન્યા છાત્રાલયમાં રહી એસ.એન.કોલેજમાં અભ્યાસ કરતી હતી. પાર્વતી બી.એડ. કરીને શિક્ષિકા બનવા માંગતી હતી. રક્ષાબંધનનો તહેવાર હોવાથી પાર્વતી પોતાના ગામ આવી હતી. અહીં બુધવારે મોડી રાત્રે અચાનક પાર્વતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
યુવતીની સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યો આ યુવક
પાર્વતી પાસેથી મળી આવેલી સૂસાઈડ નોટથી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ જણાઈ આવે છે કે, કોઈ રાહુલ ભરવાડ નામના રોમિયોની હેરાનગતીથી કંટાળી જઈ પાર્વતીએ આ પગલું ભર્યું હતું. જે બાદ પાર્વતીના પિતાએ રાહુલ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે
હીરાના વેપારીને લૂંટવા આવેલી ગેંગ ઘાતકી હત્યારો સાથે ઝડપાઈ
સુરતમાં હીરાના વેપારીને લૂંટવાના મેલા ઇરાદે આવેલી રાજસ્થાની ગેંગના 7 સાગરિતોને વરાછા પોલીસે પકડી પાડી તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો કબ્જે કર્યાં છે. આ ગેગ ફોર વ્હીલર ગાડીઓને ટાર્ગેટ બનાવી ગાડીની ચોરી કરતી હતી. પોલીસે ગેંગ પાસેથી ચપ્પું, બેઝબોલની સ્ટીક, હોકી સ્ટીક, ટી-પાના સમેત અનેક હથિયારો મેળવ્યા છે. આ ધટનામાં મૂળ રાજસ્થાનનો રાજુરામ બીસ્નોઇ સમેત પોલિસે 7 લોકોની અટક કરી છે.
ગુજરાતમાં મેઘમહેર યથાવત, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
સમગ્ર રાજ્યમાં મેઘહેર યથાવત છે. ત્યારે બોટાદના રાણપુરમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. આગામી 24 કલાકમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ઠેર ઠેર વરસાદની હેલી જોવા મળી રહી છે. ગુજરાતમાં અપર એર સરક્યુલેશન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આવનારા ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદના આંકડા
રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન 33 જિલ્લાના 192 તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદના આંકડા પર નજર કરીએ તો, બોટાદમાં 80 એમ.એમ, બરવાળામાં 81 મિલીમીટર ગાંધીનગરમાં 31 મિલીમીટર, કડીમાં 39મિલીમીટર દાંતીવાડામાં 70 એમએમ, જૂનાગઢમાં 57 મિલીમીટર, વંથલીમાં 95 મિલીમીટર, ગીર ગઢડામાં 25 મિલીમીટર, ઉનામાં 26 એમએમ વરસાદ નોંધાયો હતો.
ડભોઇમાં મટકી ફોડ બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગ
ડભોઇ તાલુકાના દંગીવાડામાં પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણના બાળકોએ મટકીફોડનો ઉત્સવ ઉજ્વ્યો હતો. જેમાં બાળકો દ્વારા ઘરેથી દહીંનો પ્રસાદ લાવવામા આવ્યો હતો. જુદા જુદા ઘરેથી આવેલ દહીનું મિશ્રણ કરી મટકીમાં ભરી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ તે દહીં પ્રસાદ તરીકે બાળકોને ભોજનમાં અપાયું હતું. ત્યાર બાદ મોડી રાતે આશરે 40 ઉપરાંત બાળોકને ફૂડ પોઇઝનિંગ થઈ ગયુ હતુ. ડભોઇ હેલ્થ ઓફિસરે ડોક્ટરની ટીમ કામે લગાડતા બાળકોને તરત જ સારવાર મળી હતી. ડભોઇના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે પણ બાળકોની મુલાકાત લીધી હતી.