સરકારી આંકડા મુજબ બનાસકાંઠામાં વરસાદે આટલું નુક્શાન કર્યું
આવતા એક સપ્તાહ સુધી સીએમ વિજય રૂપાણી અને તેમના 12 સભ્યો બનાસકાંઠાથી કરશે કામ.ત્યારે જાણો રૂપાણી સરકારે પુનર્વસન માટે કેટલા રૂપાણી સહાય જાહેર કરી છે.સાથે જ જાણો પૂર નુક્શાનના આંકડા
વિજય રૂપાણી અને તેમની કેબિનેટના 10 જેટલા મંત્રીઓ આજથી બનાસકાંઠા એક અઠવાડિયા માટે રહેશે. બનાસકાંઠાથી ગુજરાત સરકાર તેનું તમામ કામકાજ ચલાવશે. મીડિયા સાથે વાત કરતા રૂપાણીએ એક સપ્તાહમાં બનાસકાંઠાને પુન: બેઠું કરવાની બાંહેધરી આપી હતી. સાથે જ નગરપાલિકા, મહાપાલિકા-સ્વૈચ્છીક સંસ્થાઓ મળીને એક સપ્તાહનું સફાઇનું વ્યાપક અભિયાન પણ ચલાવશે. સાથે જ 150 ટીમો દ્વારા પશુમૃત્યુ સહાય-જમીન ધોવાણ સર્વે શરૂ કરવામાં આવશે. અને 150 જેટલી આરોગ્ય ટીમો 10 દિવસ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય રક્ષાના કામો ઉપાડશે. સાથે રાહત સામગ્રના યોગ્ય સંકલન માટે પણ કો-ઓર્ડિનેશન સેલને કાર્યરત કરવામાં આવશે. ત્યારે સરકારે શું સહાય શરૂ કરી છે. કેટલા પાયે નુક્શાન થયું છે વિગતવાર જાણો અહીં...
જરૂરીયાતમંદોને કેશડોલ
સાથે જ રૂપાણીએ જાહેરાત કરી હતી કે વરસાદી આફતમાં જે લોકોના ઘરબાર અને ઘરવખરીને નુક્શાન થયું છે તેમને કેશડોલ અને ઘરવખરીની સહાય રકમ બે દિવસની અંદર તંત્ર દ્વારા ચૂકવવામાં આવશે. કેશડોલમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ 60 રૂપિયા પ્રતિદીન 10 દિવસ માટે અપાશે અને કુંટુંબદીઠ 3000 રૂપિયાની ઘરવખરી સહાર પણ સરકાર આપશે.
પશુમૃત્યુ નિકાલ
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા સૂકો પ્રદેશ છે અહીં ખેતી કરતા પણ પશુપાલન મુખ્ય ઉદ્યોગ છે. તેવામાં મોટી સંખ્યામાં પશુઓની આ પૂરમાં મોત થઇ છે. રૂપાણીએ આવતીકાલ સુધીમાં મૃતદેહનો નિકાલ કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં સર્વે પછી સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કેટલું થયું નુક્શાન
રાજ્યમાં વરસાદના કારણે 1 લાખ 12 હજાર અસરગ્રસ્ત લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા એકલામાં જ 30,000 લોકોએ સ્થળાંતર કર્યું છે. અને 5500 જેટલા લોકો હાલ કેમ્પમાં છે. બનાસકાંઠામાં 10,249 રેસ્ક્યૂ કરવામાં આવ્યા. જેમાં એરફોર્સ દ્વારા રાજ્યભરમાં 206 સોર્ટી, 845 બચાવ તથા બનાસકાંઠામાં 758 ટ્રીપો કરવામાં આવી છે.
રસ્તાઓ બંધ
રૂપાણીએ જણાવ્યું કે બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે 562 રસ્તાઓ બંધ હતા. જેમાંથી 290 રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે. અને બાકીના રસ્તાઓનું રિપેરિંગ કામ કાજ હાલ ચાલું છે. સાથે જ 609 ગામો જેમનો વીજપુરવઠો ખોરવાયો હતો તેમાંથી 602 ગામોમાં વીજળી શરૂ કરી દેવામાં આવી છે અને બાકીના 7 ગામોમાં આવતીકાલ સુધીમાં વિજળી સોમવાર સાંજ સુધીમાં આવી જશે તેવું તંત્રનું કહેવું છે. સાથે રોગચાળો અટકાવવા માટે 250થી વધુ તબીબો અને આરોગ્ય કર્મીઓની ટીમોને 10 દિવસ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા વિતરણ અને તબીબી સારવાર સુવિધાનું કામ સોંપવામાં આવ્યું છે.