વર્લ્ડ કેન્સર ડે: શંકરભાઇ ચૌધરીએ વ્યસન મુક્તિ અભિયાન શરૂ કર્યું
ડીસા ખાતે મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે વ્યસનમુક્તિ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ થયો. આ અંગે વધુ જાણો અહીં.
બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે આરોગ્ય અને પરીવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજયમંત્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતીમાં વર્લ્ડ કેન્સર ડે યોજાયો હતો. આ પ્રસંગે શંકરભાઇના હસ્તે વ્યસનમુકિત અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાસંગીક પ્રવચન કરતાં શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે કેન્સરની બિમારી અંગે આરોગ્ય વિભાગની ટીમો ગામેગામ ફરીને શંકાસ્પદ કેસોનું નિદાન કરી તેવા દર્દીઓને પુરતી સારવાર આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેન્સર જેવી બિમારીને ડામી દેવા સૌએ સાથે મળી વ્યસનમુકિત માટે વિરાટ અભિયાન હાથ ધરી વ્યસનોને તિલાંજલી આપવી પડશે. જેથી વ્યસનોથી કુટુંબ બરબાદ થતા અટકે.
વિધાર્થીઓની જાગૃતિ માટે શાળાઓમાં વ્યસનમુકિત અંગે કાર્યક્રમો કરવા અંગે શંકરભાઇએ જણાવ્યું હતું, "વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સુધી ભણીને ઉજ્જવળ કારકિર્દી બનાવે તથા યુવાનોને સરસ રોજગારી મળે તે માટે સરકાર સક્રિય અને સંકલ્પબધ્ધ છે. વ્યસનોથી દુર રહીને શિક્ષીત, સમૃધ્ધ અને સુખમય સમાજનું નિર્માણ કરવા મંત્રીશ્રીએ આહવાન કરતાં જણાવ્યું કે "આવો, આપણે સૌ સાથે મળીને વ્યસનોને કાયમી દેશવટો આપીને પરિવાર અને સમાજમાં અપાર સુખ-શાંતિ અને સમૃધ્ધિ લાવીએ."
આ પ્રસંગે આરોગ્ય કમિશ્નર જે. પી. ગુપ્તાએ જણાવ્યું કે તંદુરસ્ત અને સુખી સમાજના નિર્માણ માટે લોકો વ્યસનમુકત રહે એ અનિવાર્યપણે જરૂરી છે. તેમણે કહ્યું કે સર્વે નિરોગી રહે એ સ્વસ્થ સમાજનું પ્રતિબિંબ છે. યુવાપેઢી વ્યસનોથી દુર રહે તે માટે તેમણે ભારપૂર્વક અનુરોધ કરતાં કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના આ યુગમાં બાળકોને સરસ ભણાવીને તેઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે કાળજીપૂર્વક પ્રયાસો કરીએ. વધુમાં આ પ્રસંગે મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે વ્યસનમુકિત અંગેના પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેમજ ડીસાના વિકાસ અંગેના પુસ્તકનું શંકરભાઇએ વિમોચન કર્યું હતું.