ડીજી-ધન મેળો: ભાવનગરમાં યોજાયો રાજ્યનો સર્વ પ્રથમ મેળો
ભાવનગર ખાતે ગુજરાતનું સર્વ પ્રથમ ડીજી-ધન મેળો યોજાયો. તે વિષે વધુ જાણકારી મેળવો અહીં...
રવિવારે ભાવનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડીજીટલ માધ્યમોનાં પ્રચાર-પ્રસાર તેમજ તેના ઉપયોગ માટેના માર્ગદર્શન માટે યશવંતરાય નાટ્યગૃહ એક દિવસીય ડીજી-ધન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્ટોલનું નિદર્શન ડીજીટલ પેમેન્ટનાં વીડિયોનું નિદર્શન, ડીજી-ધન યોજનાનાં વિજેતાઓનો લક્કી ડ્રો, વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહક ઈનામો, સેલીબ્રીટી દ્વારા ડીજીટલ ટ્રાન્ઝેક્શન તેમજ પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લાની વિવિધ કચેરી તથા અન્ય સંસ્થાના કર્મચારીઓને પ્રમાણપત્ર આપવાના આવ્યા હતા.
ભારત સરકારના આદિજાતિ બાબતોનાં રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર આ પ્રસંગે મુખ્ય અતિથિ રહ્યા હતા. તેમજ ગુજરાત રાજ્યનાં સામાજીક ન્યાય અને અધિકારીતાના મંત્રીશ્રી આત્મારામ પરમાર અને રાજ્ય કક્ષાનાં પાણી પૂરવઠા અને નાગરિક ઉડ્ડયનમંત્રીશ્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને ભારત સરકારના આદિજાતિ બાબતોનાં રાજ્યકક્ષાનાં મંત્રી જશવંતસિંહ ભાભોરે ભાવનગર જિલ્લા વહીવટી તંત્રની ડીજીટલ ઈન્ડીયાની પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે તા. 30 ડીસેમ્બરના રોજ યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાનાં ડીજી- ધન મેળામાં માન. વડાપ્રધાનશ્રીએ પણ ભાવનગર જિલ્લાની કામગીરીને બિરદાવી છે જે ભાવનગર માટે ગૌરવપૂર્ણ બાબત છે.
ભારત સરકાર વિકાસલક્ષી વિવિધ નીતિઓની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે આપણો દેશ એક સક્ષમ નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.નોટબંધી અને ત્યારબાદ કેશલેસ વ્યવહાર એ આ દિશાનું સબળ પગલું છે જેમાં આપણાં સૌનો સહયોગ આવશ્યક છે. આ કાર્યક્રમ પ્રસંગે માન. મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારે કેશલેસ વ્યવહાર માટે દેશનો નાનામાં નાના માણસ પણ માહિતગાર થાય અને પ્રશિક્ષિત બને તે માટેનાં સરકારનાં પ્રયત્નોને બિરદાવતાં જણાવ્યું કે જીવનમાં પરીવર્તન જરૂરી છે જૂની પદ્ધતિ ભૂલી જઈ નવી પદ્ધતિનો સ્વીકાર કરવો તે સાચી પ્રગતિ છે માટે નાણાકીય વ્યવહારમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન એ આવશ્યક અને અનિવાર્ય છે.
આ પ્રસંગે મંત્રી જશાભાઈ બારડે ગુજરાતનાં શ્રેષ્ઠ જિલ્લા તરીકેની ભાવનગરની પસંદગીને યથોચિત ગણાવતાં જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા સાથે જ જિલ્લાના બે લાખથી વધુ ખેડૂતોને 31 માર્ચ 2017 સુધીમાં ડીજીટલી જોડી દેવાનાં જિલ્લા વહીવટીતત્રનાં નિર્ણયને આવકાર્યો. સાથે જ એક આ ડીજીટલ મેળામાં લક્કી ગ્રાહક યોજના તેમજ લક્કી વ્યાપાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ડીજીટલ મેળામાં 20 જુદા જુદા સ્ટોલની 5 હજાર લોકોએ મુલાકાત લઈને ડીજીટલ પેમેન્ટની જાણકારી મેળવી હતી.