મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અંતર્ગત બાઇક રેલીનું આયોજન
વિરમગામમાં મેલેરિયા મુક્ત ગુજરાત 2022 હેઠળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી.
ગુજરાત સરકારે હાલ મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાનની કામગીરી હાથ ધરી છે, જે હેઠળ વિરમગામ શહેરના 2000થી વધુ ઘરોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. સાથે જ વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાઇક રેલી પણ કાઢવામાં આવી હતી. મંગળવારે સવારે તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી પ્રશસ્તિ પારીકે લીલી ઝંડી બતાવી બાઇક રેલીની શરૂઆત કરી હતી. આ બાઇક રેલી વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને મેલેરિયા નાબુદી અંગે સમજ આપી હતી. રેલી પુર્ણ થયા બાદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરમગામના ઘરોમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોને મેલેરિયાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા વગેરેનું મુખ્ય લક્ષણ છે તાવ. લાંબા સમયથી તાવ રહેતો હોય તે દર્દીની સમયસર સારવાર કરવામાં આવે તો આ રોગો નિવારી શકાય છે. રાજ્યમાં આરોગ્ય કાર્યકરો દ્વારા પખવાડીક સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે જનસમુદાયમાં રહેલ તાવના કેસ અંગેની જાણ થાય છે. સર્વેલન્સ દરમ્યાન વ્યક્તિ હાજર ન હોય તો તાવના કેસનું રિપોર્ટિંગ થઇ શકતું નથી. આ સાથે જ તેમણે ફીવર હેલ્પલાઇન નંબર અંગે પણ માહિતી આપી હતી. 104 ફીવર હેલ્પલાઇન કાર્યાન્વિત થઇ ચૂક્યો છે. આ નંબર પર ફોન દ્વારા રિપોર્ટિંગ થાય છે અને 24 કલાકની અંદર દર્દીને સંપુર્ણ સારવાર ફાળવવામાં આવે છે.