#BreakingNews: ઉદેયપુર, રાજસ્થાનમાં આવતા 6 મહિના રહેશે હાર્દિક પટેલ
હાર્દિક પટેલને જ્યારથી શરતી જામીન મળ્યા છે ત્યારથી તે બે દિવસ બાદ ગુજરાત બહાર કયા રાજ્યમાં રહેશે તે પર અટકળો થઇ રહી હતી. અને હવે આ અટકળો પરથી પડદો ઊંચકાયો છે. હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં જે માહિતી રજૂ કરી છે તે મુજબ હાર્દિક પટેલ 2 દિવસ બાદ શરતી જામીન મુજબ ગુજરાતની બહાર રાજસ્થાનના ઉદેયપુરમાં ધામા નાંખવાનો છે.
નોંધનીય છે કે હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જે શરતી જામીન મળ્યા તે મુજબ તેને 6 મહિના સુધી ગુજરાત બહાર અને 9 મહિના સુધી મહેસાણાની બહાર રહેવાનું છે. ત્યારે આવનારા 6 મહિના સુધી હાર્દિક ક્યાં રહેશે તે પર ચર્ચા વિચારણા થઇ રહી હતી.
બિહાર ચૂંટણીની જોઇને હાર્દિકનો યુપી પ્રવાસથી લઇને દિલ્હી અને મુંબઇ જેવા મહાનગરોના નામની પર ચર્ચા થઇ રહી હતી. સાથે જ રાજસ્થાનના જાટ નેતાઓએ પણ અનામત મામલે હાર્દિક પટેલને રાજસ્થાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે આજે સ્પષ્ટ થઇ ગયું છે કે હાર્દિક પટેલ હવે આવનારા સમયમાં રાજસ્થાનના ઉદેયપુર ખાતે રહીને પોતાનું આ અનામત આંદોલન ચલાવશે.