GSTના વિરોધમાં વેપારીઓએ પાળ્યો બંધ!
રાજ્યભરમાં જીએસટી બિલનો વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમોમાં વેપારીઓએ બંધ પાળી જીએસટી બિલનો વિરોધ કર્યો હતો.
રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વેપારીઓએ પોતાના વેપાર બંધ રાખી GSTનો વિરોધ કર્યો છે. કેટલાક શહેરોમાં વેપારી મંડળો દ્વારા બેનરો સાથે રેલી કાઢી GSTને લઇ આવેદન પત્ર પાઠવવામાં આવ્યા છે. આગામી 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં GST અમલમાં મુકાનાર છે. GST લાગુ થાય તે પહેલા ગુજરાતભરમાં GSTનો વિરોધ શરૂ થઇ ગયો છે.
ગુરૂવારના રોજ વડોદરામાં અનાજ વેપારીઓ દ્વારા હાથીખાના બજારમાં બંધ પાળવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હોલસેલના વેપારીઓ દ્વારા બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વેપારીઓ મુજબ બ્રાન્ડેડ અનાજ પર GST બિલમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે છૂટક અનાજ પર ટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી. વડોદરાના શહેરભરના વેપારીઓએ હાથીખાના બજારમાં એકત્ર થઇ GST બિલનો વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યા હતા. આજે બજાર બંધ રહેતા લાખોનું નુકશાન થયું છે. બીજી બાજુ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને દાણાપીઠ બજાર સહિત કેટલાક વેપારીઓ દ્વારા આજે GSTના વિરોધમાં બંધ પાળવામાં આવ્યું છે. સુરત અને અમદાવાદમાં ટેક્સટાઇલ માર્કેટમાં બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ પોતાના ધંધા-વેપાર બંધ રાખી GSTનો ઉગ્ર વિરોધ કર્યો છે.