જિલ્લા કલેક્ટરને ટ્વીટ કરી નાગરિકો કરી શકશે ફરિયાદ
નાગરિકો પોતાના જિલ્લાના કલેક્ટરને ટ્વીટ કરી ફરિયાદ કરી શકે એવી વ્યવસ્થા મહેસુલ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે.
દેશના નાગરિકો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર થકી કલેક્ટરને પોતાની ફરિયાદ જણાવી શકે, એવી વ્યવસ્થા મહેસુલ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે. મહેસુલ વિભાગે આપેલી સુચનાને લઇ રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરે પોતાના ટ્વીટર હેન્ડલ કાર્યરત કર્યા છે. હવેથી નાગરિકો પોતાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને ટ્વીટર દ્વારા જણાવી શકશે. મહેસુલ વિભાગના આ પ્રયોગને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આવકારવામાં આવ્યો છે. ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરની પોતાનું ટ્વીટર હેન્ડલ સક્રિય કરવાની સૂચના આપવામાં આવી છે.
મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, 'આ યોજના લોકો સુધી પહોંચાડવામાં આવશે. જન ફરિયાદ નિવારણમાં પારદર્શિતા અને ઝડપ લાવવામાં આ ટ્વીટર હેન્ડલ ઉપયોગી બનશે.' માત્ર બે જ દિવસમાં કેટલાક જિલ્લાઓના કલેક્ટરને નાગરિકોની રજૂઆતો પણ મળી છે. કલેક્ટર દ્વારા રજૂઆતના નિવારણ માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
1) Plz note One touch Contact with #Collectors in Gujarat on Twitter @narendramodi @vijayrupanibjp @BhupendraSinh1 @PMOIndia @CMOGuj pic.twitter.com/aabmh0TGY8
— Pankaj Kumar, IAS (@pkumarias) June 24, 2017
ચોમાસાની ઋતુ શરૂ થઇ છે, આ ઋતુમાં ટ્વીટરની મદદથી ભારે વરસાદ, પુર, વાવાઝોડા જેવી સ્થિતિમાં ત્વરિત માહિતી મળી રહેશે અને સામે અસરકારક રાહત બચાવ કામગીરી થઇ શકશે. નહેરોમાં પડતા અવારનવાર ગાબડાઓથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચે છે. હવે ખેડૂતો આવી નાની-મોટી ફરિયાદો ટ્વીટ કરી સીધી કલેકટરને જણાવી શકશે. આ યોજનાથી નાગરિકોના મહેસુલ વિભાગને લાગતા પ્રશ્નો અને સમસ્યાનું પણ વહેલી તકે નિવારણ આવી શકશે. જો કે, આ યોજનાની સફળતા પર સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે, એવા કેટલાક ખેડૂતો હશે, જેમને ટ્વીટર વાપરતાં આવડતું હશે અને જેમની પાસે પોતાનું ટ્વીટર એકાઉન્ટ હશે?