જન્માષ્ટમી સુધીમાં વરસાદ ન પડે તો પણ આજી ડેમ છલકાઇ જશે
સૌની યોજના થકી નર્મદાના પાણી સાતમ આઠમ સુધી આજી ડેમમાં પહોંચી જશે તેવું કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ.
રાજકોટ શહેરમાં રવિવારે યોજવામાં આવેલ શ્રી કૃષ્ણકથા કથાશ્રાવણના પાંચમાં દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. ત્યારે આ પ્રસંગે ગૌ સંવર્ધનના મામલે ટિપ્પણી કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં ગૌ સંવર્ધન માટે ખાસ નાણાંકીય જોગવાઇ કરવામાં આવશે. જેમાં તાલુકા દીઠ નંદી ઘર બનાવી સારી ઓલાદ અને જાતના આખલાઓનું પોષણ કરી અસલ જાતની ગીર ગાયો, કાંકરેજી ગાયો અને જાફરાબાદી ભેંસોનું સંવર્ધન કરાશે. સાથે જ ગૌવંશની હત્યા સામે વિધાનસભાના વર્તમાન સત્રમાં કડક કાયદો લાવવામાં આવશે.
વધુમાં સૌની યોજના અંગે બોલતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે આગામી જન્માષ્ઠમી સુધીમાં વરસાદ પડે કે ન પડે તેમ છતાં આજી ડેમ છલકાવી, બને તેટલી ઝડપથી સૌથી યોજનાની કામગીરીને પૂર્ણ કરવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે સૌની યોજના થકી નર્મદાના પાણી સાતમ આઠમ સુધીમાં આજી ડેમ સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સમતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યના કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરિયાએ હાજરી આપી હતી.