રાજકોટ : BRTS રૂટ પર ફ્રી વાય-ફાય સેવા વિજય રૂપાણીએ લોન્ચ કરી
રાજકોટ વાસીઓ માટે ખુશીના સમાચાર, હવે તમે બીઆરટીએસ માર્ગ પર માણી શકશો ફ્રી વાય ફાયની સુવિધા. આ અંગે વધુ વાંચો અહીં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે રાજકોટ શહેરના હાર્દ સમા બી.આર.ટી.એસ. રૂટ ઉપર ફ્રી વાય ફાય સેવાનું લોન્ચીંગ કર્યુ હતું. આ સુવિધાનો શુભારંભ કરતા તેમણે જણાવ્યુ હતું કે રાજકોટના ૧પ હજાર લોકોને આ સેવાનો દરરોજ ફ્રી લાભ મળશે. આ ક્ષેત્રે વધુ સેવા વિસ્તાર આગળ વધારી, સ્માર્ટ સીટીની સુવિધાઓ વધારવા અમે પ્રતિબદ્ધ છીએ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શનિવારે રાજકોટના નાના માવા સર્કલ પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતેથી બી.આર.ટી.એસ. બસ સેલ્ટર્સ ખાતેની ફ્રી વાય ફાય સેવાનો શુભારંભ કરાવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા લોકોને બી.આર.ટી.એસ. રૂટ ઉપર ફ્રી વાય-ફાય સુવિધા ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે બી.આર.ટી.એસ.ના ૧૮ બસ સેલ્ટર્સ પર આજથી આ સુવિધા શરૂ કરાઇ છે જેમાં દરેક પેસેન્જર ૧૦ એમ.બી.પી.એસ.ની સ્પીડથી ૧૦ મીનીટ સુધી ફ્રી વાય ફાયનો લાભ આપવામાં આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટના ગોંડલ ચોકડીથી માધાપર ચોક સુધીના ૧૦.૭૦ કી.મી. સુધીના બી.આર.ટી.એસ. પાયલોટ બ્લુ કેરીડોરની રચના કરવામાં આવેલ છે.
જે અતંર્ગત સર્વિસ લેન, સાયકલ લેન, પેડેસ્ટ્રીયન વે, મોટર વ્હીકલ લેન તથા બી.આર.ટી.એસ. બસ લેનનું નિર્માણ કરી આ રૂટ ઉપર બી.આર.ટી.એસ.ના ૧૮ શેલ્ટર્સનું નિર્માણ કરવામાં આવેલ છે. નોંધનીય છે કે ૨૦૧૨માં તૈયાર થયેલી આ બસ સેવાનો એપ્રિલ-૧૬ સુધીમાં ૪૪ લાખ ૧૫ હજાર જેટલા લોકોએ લાભ લીધો છે. મુસાફરોને રૂટના ૧૮ સેલ્ટર્સ ઉપર ગુજરાતી છાપાઓની સુવિધા પણ આપવામાં આવે છે. સાથે જ મુસાફરોની સુવિધા માટે સી.સી.ટી.વી. કેમેરા, દિવ્યાંગો માટે સરળ મુસાફરી સુવિધા, પે-ટીએમ, સ્માર્ટ ટીકીટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.