બનાસકાંઠા:રાહત-બચાવ કામગીરીનો તાગ મેળવવા પહોંચ્યા CM રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ પૂર-પીડીતોના રાહત-બચાવ કામગીરી તથા જિલ્લાને પુનઃસ્થાપિતા કરવાની કામગીરી માટે 5 દિવસ સુધી બનાસકાંઠા અને પાટણની મુલાકાતે છે.
ગુજરાત રાજ્યના ઉત્તર વિસ્તારોમાં હજુ પણ પૂરના તારાજીપૂર્ણ દ્રષ્યો જોવા મળે છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ બનાસકાંઠા પહોંચ્યા હતા. તેઓ પૂરા 5 દવિસ બનાસકાંઠા અને પાટણમાં રોકાનાર છે. આ દરમિયાન તેઓ ધાનેરા, થરા અને પાલનપુરની મુલાકાત લેશે. પાલનપુરમાં તેઓ આ પરિસ્થિતિ અંગે 15 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.
તેમણે જણાવ્યું હતું કે, વહેલી તકે બનાસકાંઠાને પુનઃસ્થાપિત કરવામાં આવશે. સરકાર બને એટલી ઝડપથી પૂર-પીડીતોને રાહત આપશે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિને કારણે આવેલ પૂરમાં બનાસકાંઠા જિલ્લાને ભારે તારાજીનો સામનો કરવો પડ્યો છે. જિલ્લાનો મૃત્યુઆંક 62 પહોંચ્યો છે અને 2140 પશુઓના મોત થયા હોવાના સામચાર છે. 29 હજારથી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લાના 498 રસ્તાઓ લગભગ ધોવાઇ ગયા છે. હાલ બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારોમાં 6000થી વધુ ટુકડીઓ સફાઇની કામગીરીમાં વ્યસ્ત છે. રોગચાળો અટકાવવા માટે 781 ટીમો કામે લાગી છે. આર્મી જવાનો પણ પૂર-પીડીતો માટે ખડેપગે હાજર છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠા અને પાટણમાં રહી અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી તંત્રને રાહત-બચાવની કામગીરી અંગે માર્ગદર્શન આપશે તથા જિલ્લાને પુનઃસ્થાપિત કરવાની યોજના ઘડશે.