CM રૂપાણીએ ફસાયેલા અમદાવાદીઓની લીધી મુલાકાત
વિજય રૂપાણીએ અમદાવાદમાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોની મુલાકાત લીધી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પાણી ભરાતા એનડીઆરએફની મદદ પણ લેવાઇ હતી. જાણો આ અંગે વિગતવાર અહીં.
અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરાના લગભગ 60 જેટલા સ્થળો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અનેક જગ્યાએ બોટ દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદના પાણીમાં ગરકાવ થયેલા સ્થળોની મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આજે બોટ દ્વારા મુલાકાત લીધી હતી. અને સાથે જ તેમણે અધિકારીઓ અને અમદાવાદના મેયર સાથે સ્થિતિની જાણકારી મેળવી હતી. સીએમ રૂપાણીએ નિકોલ અને મુઠીયા ગામની મુલાકાત લઇને લોકો જોડે વાતચીત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા બાદ અમદાવાદ અને ગાંધીનગર બન્નેની સ્થિતિ વરસાદના કારણે બગડી છે. અમદાવાદમાં જ્યાં હાલ 7 ઇંચથી વધુ વરસાદ 12 કલાકમાં પડ્યો છે ત્યાં જ ગાંધીનગરમાં પણ 7 થી 8 ઇંચ વરસાદ વિવિધ વિસ્તારોમાં પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વધુમાં અમદાવાદના મેયર ગૌતમ લોકોને જરૂર ના હોય તો ઘરની બહાર ન જવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવનારા 48 કલાકમાં પણ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે. અને શહેરના શાળા-કોલેજો પણ ગત બે દિવસથી બંધ જ રાખવામાં આવ્યા છે.