વિધાનસભામાં ભાજપના નેતાઓએ હુમલો કર્યો હતો : શક્તિસિંહ ગોહિલ
ગુરૂવારના રોજ ગાંધીનગર વિધાનસભામાં થયેલા હોબાળા અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન.
ગુરૂવારના રોજ ગાંધીનગર વિધાનસભા ખાતે હોબાળો થતાં વિપક્ષ કોંગ્રેસ તથા શાસક પક્ષ ભાજપ ના ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની વીડિયો પણ મીડિયામાં જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ ઝપાઝપીમામ બંન્ને પક્ષના ધારાસભ્યોને ઇજા પણ પહોંચી હતી.
ગુજરાતમાં લોકશાહી નહીં, સરમુખત્યારશાહી
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે આ અંગે વાત કરતાં કહ્યું કે, "આ બધુ ભાજપનું નાટક છે. કોંગ્રેસના કોઇ ધારાસભ્ય મહિલા મંત્રીને અડ્યા જ નથી, તો એમને અમારાથી ઇજા કેવી રીતે થઇ? બધુ સીસીટીવીમાં છે. હવે પ્રજા જ જવાબ આપશે. આ ભાજપનું છેલ્લું બજેટ અને સરકાર છે. આખો દેશ જોઇ રહ્યો છે. વિધાનસભામાં લાઇવ કવરેજ થતું હોય છે. પરંતુ ગુજરાતમાં જાણે લોકશાહી નહીં, પરંતુ સરમુખત્યારશાહી રાખી છે. કોઇ કેમેરામેન કેમેરો લઇ અંદર આવી શકતો નથી. ભાજપની સરકારમાં અંદર પાપ કરવાનું અને જનતા પાસે ખોટું બોલવાનું. અમે આખું વીડિયો સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કર્યું છે. આખા સીસીટીવી કેમેરામાં બળદેવજી ઠાકોર મહિલા મંત્રી બહેન પાસે ગયા જ નથી. એ બહેનને કોઇએ હાથ પણ અડાડ્યો નથી. તો આ ઘટના કેવી રીતે બની?"
ભાજપે હદ પાર કરી..
"ભાજપે હદ પાર કરી, અંદર પાપ કરવાનું અને બહાર જનતા આગળ ખોટું બોલવાનું! પરેશભાઇ એક પાટીદાર યુવાન ધારાસભ્ય તરીકે ખેડૂતોની વ્યથા ઠાલવી રહ્યા હતા, એ જ સમયે ભાજપના બે ધારાસભ્યો પ્રફુલભાઇ પાનસુરીયા, કાનાભાઇ અમૃતભાઇએ સભ્ય સમાજમાં ના સાંભળી હોય એવી બેફામ ગાળો બોલતા હતા. પરેશભાઇ વિધાનસભામાં બતાવેલ જવાબ બતાવવા જ ગયા હતા. પરંતુ ભાજપના નેતાઓએ હુમલો કર્યો હતો. બળદેવજી ઠાકોર ક્યારેય અસભ્ય વર્તન ના કરે. એમનું ગળું દબાવીને મારવાનો પ્રયાસ કરાયો, પરંતુ ભાજપે ચોરી ઉપર સીનાચોરી કરી છે. આ બધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું છે. આ એમનું છેલ્લું બજેટ છે. પરેશ ધાનાણીને જુએ તો એમને હાર્દિક પટેલ દેખાય છે. બળદેવજીને જુએ તો અલ્પેશ ઠાકોર દેખાય છે. ભાઇ નિતિનભાઇ પટેલે અને ભાજપની સરકારે જે કર્યું છે, એ બધાને ખબર છે. આવનારા સમયમાં પ્રજા જવાબ આપશે. જો અમારા ધારાસભ્યોને કંઇ થશે તો એક પાટીદાર અને ઠાકોર ધારાસભ્યના અપમાનનો બદલો જનતા લેશે."
અહીં વાંચો - વિધાનસભા ગૃહમાં ફરી થઇ ધમાલ, શાસક-વિપક્ષ વચ્ચે ઝપાઝપી
પોતાની વિરુદ્ધના સમાચાર દબાવવામાં એક્સપર્ટ ભાજપ
"વિધાનસભામાં મંત્રીએ કેમ જવાબ આપવો એ નિયમો નક્કી છે. પ્રશ્નોત્તરીમાં પુછાયેલા સવાલનો ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપવો નક્કી છે. પરંતુ આ સરકાર, આ મંત્રીઓ ક્યારેય એ નિયમોને અનુસરતા નથી. કોંગ્રેસના ધારાસભ્યો સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પાડે. બહેનોનો અવાજ રજુ ના કરે. ફિક્સ પગારકારોનું શોષણ થઇ રહ્યું છે. દિવ્યાંગ શિક્ષકોના પ્રશ્નો, ખેડૂતોને વીજળી મળતી નથી. પાણી નથી, રોગચાળો વધ્યો છે, આદિવાસી મહિલા પર બળાત્કારના કિસ્સાઓ સામે ના આવે એ માટે સરકાર જ જાતે વિધાનસભા ખોરવે છે. જ્યારે મહિલા પરના દુષ્કર્મના કેસના વિરોધમાં રેલી નીકળે તો ક્યાંક બોમ્બ મુકાઇ જાય છે અને ન્યૂઝ આઇટમ બનાવી દેવાય છે. આ સરકાર પોતાની વિરૂદ્ધના સમાચાર દબાવી દેવામાં એક્સપર્ટ છે."