શંકરસિંહ વાઘેલા: દમ છે ભાજપમાં જાધવને બચાવવાનો?
કુલભૂષણ જાધવ કેસમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ શું પ્રતિક્રિયા આપી વિગતવાર જાણો અહીં.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજરોજ મીડીયા અને પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ભાજપ રાષ્ટ્રવાદ કમ હિન્દુવાદની કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. રાષ્ટ્રવાદના નામે "ભારત માતા કી જય", "વંદે માતરમ્", "ચીનને લાલ આંખ બતાવીશું" એવા રાષ્ટ્રવાદના નામે મતો મેળવવા માટે કરાયેલા ભાષણોનો કાળ પૂરો થઈ ગયો છે. કમનસીબે છેલ્લાં ત્રણ વર્ષથી કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકારના નબળા શાસનને પરિણામે ભારત સાથે બાંગ્લાદેશ, ચીન, નેપાળ, પાકિસ્તાન, બ્રહ્મદેશ કે શ્રીલંકા જેવા પાડોશી દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો રાખી શકાયા નથી. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી અને વિદેશ નીતિ કે જે પ્રધાનમંત્રી ખુદ ઘડી રહ્યા છે, જેથી દેશમાં વિદેશ મંત્રાલય કે વિદેશ મંત્રી હોય તેવું લાગતું જ નથી અને તેના પરિણામે બિન અનુભવી અને અણઆવડતવાળી ભાજપની સરકાર પડોશી દેશોને દુશ્મન બનાવી રહી છે.
ગત ચૂંટણીમાં દેશની પ્રજાને છેતરીને મતો આંચકી લેવાના પેંતરાના ભાગરૂપે "પાકિસ્તાન આપણા સૈનિકનું એક માથું વાઢી જશે તો આપણે તેના સૈનિકના ૧૦ માથા વાઢી લાવીશું" તેવું કહેનાર ભાજપ એ દેશભકત નહીં પણ સ્વાર્થી પાર્ટી છે. જે મત લેવા માટે તમામ ષડયંત્રો કરવામાં પાવરધા છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રજા આજે જવાબ માંગી રહી છે કે, "શું તમે નૌકાદળના પૂર્વ અધિકારી જાધવને ભાજપની કેન્દ્ર સરકાર બચાવી શકશે ખરી ?" અગાઉ પણ પાકિસ્તાને આપણા દેશના બે નિર્દોષ નાગરિકોને ફાંસીને માંચડે ચડાવી દીધા હતાં. દેશની સુરક્ષા કાજે જીવના જોખમે, જરૂર જણાયે ધર્મ અને પહેરવેશમાં પરિવર્તન કરી, કોઈને ત્યાં નોકર બની, રો એજન્સીમાં સેવા આપી, દેશની સેવા કરતા અધિકારીઓ પકડાઈ જાય ત્યારે રો એજન્સી કે દેશની એનડીએ સરકાર તેની ચિંતા ન કરે, તેમાં ભાજપ સરકારના ત્રણ વર્ષના શાસનની નિર્બળતા છતી થાય છે.
Read also : રાજ્યના વિવિધ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે મતગણત્રી
ઈઝરાઈલ ઉદાહરણ આપતા વાઘેલાએ કહ્યું કે તેના જેવો નાનો દેશ જો સાચી સર્જીકલ સ્ટ્રાઈક કરી પોતાના નાગરિકોને બચાવી શકતો હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીને આપ સૌના માધ્યમથી સાચી સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાંથી કુલભુષણ જાધવને જીવતો બચાવી લાવે તેવી અપીલ કરું છું. અગાઉ બે નાગરિકોને પાકિસ્તાને ફાંસીના માંચડે ચડાવ્યા હતા ત્યારે જાધવને બચાવી લેવાની ભાજપ સરકારની આ છેલ્લી તક છે. આપણા દેશની જુદી-જુદી સંસ્થાઓ અને રાજકીય પક્ષો આ મુદ્દે સરકારના પડખે અડીખમ ઉભા છે. "જાધવને મોતની સજા સંભળાવી, તેને હત્યા માનીશું", "પાકિસ્તાનને જોઈ લઈશું" આવા વામણાં શબ્દો સાંભળવાની હવે આ દેશના નાગરિકોની તૈયારી નથી. ભારતના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી કડક પગલાં લઈ, નાટક કરવાને બદલે સાચી સર્જીકલ સ્ટ્રાઈક કરી, જાધવને બચાવી શકશે ખરી? જો ન બચાવી શકવાના હોય તો મહેરબાની કરીને આ દેશની પ્રજા સમક્ષ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્" જેવા ખોટા રાષ્ટ્રવાદ કે જે તમારા માટે હિન્દુવાદ છે તે બંધ કરી પ્રજાની માફી પોતે નિર્બળ હોવા અંગે માફી માંગવી જોઈએ તેમ વાઘેલાએ જણાવ્યું હતું.