અ'વાદમાં કોંગ્રેસના મનીષ તિવારીએ BJP પર ચલાવ્યા વાકબાણ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનીષ તિવારીએ ગુરુવારે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફર્ન્સ યોજી હતી. જાણો આ પ્રેસ કોન્ફર્ન્સમાં તેમણે ભાજપ પર કેવા કેવા આક્ષેપ કર્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનીષ તિવારીએ ગુરુવારે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફર્ન્સ યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ પહોંચેલા મનીષ તિવારી આ પ્રેસ કોન્ફર્ન્સમાં ભાજપ પર એક પછી એક અનેક વાકબાણ ચલાવ્યા હતા. નોટબંધીથી લઇને જીડીપી અને કાશ્મીરની મોદી સરકારની નીતિ પર પણ મનીષ તિવારીએ ટિપ્પણી કરી હતી. તેમણે કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારની નબળી આર્થિક વ્યવસ્થા પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભાજપની સરકાર આવતા ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઇ છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ તેમની આ પ્રેસકોન્ફર્ન્સમાં બીજા કયા મુદ્દા પર ટિપ્પણી કરી જાણો અહીં...
તેમણે કહ્યું કે ભાજપ સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. નોટબંધીના 6 મહિના બાદ પણ સરકાર બતાવી શકી નથી કે કેટલા પૈસા પરત આવ્યા છે? ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 6.1 ટકા થઈ ગયો છે. અને GDP નો aબેઝ યર 2004-05થી બદલી 2011-12 કરી દેવાયો. આ 36 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાની સૌથી ખરાબ સ્થિતિ છે. 2016માં કારખાનાઓનો વૃધ્ધિદર 12.7 ટકા હતો એ ઘટીને 2017માં પ્રથમ ક્વાર્ટરમાં 5.3 ટકા થયો છે. અને નોટબંધીએ અર્થવ્યવસ્થાને તોડી નાખી છે. તેમણે જણાવ્યું કે એપ્રિલ 2016માં આઠ કોર સેક્ટરની વૃદ્ધિ 8.7 ટકા હતી તે 2017માં ઘટીને 2.5 ટકા થઈ ગઈ છે. જેમાં સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન, ઓઇલ ગેસનો સમાવેશ થાય છે. કાશ્મીર અને આંતકવાદ પર બોલતા તેમણે કહ્યું કે કાશ્મીરમાં રાજકતાનું કરણ PDP અને BJP ની સરકાર છે. ભારતની આંતરિક સુરક્ષા જર્જરિત હાલતમાં છે. એટલું જ નહીં સરકાર હજુ અનંતનાગની પેટા ચૂંટણી કરાવી શકી નથી.
સાથે જ તેમણે કહ્યું કે જમ્મુનું કાયમી સમાધાન રાજનાથસિંહ જાહેર કરે કારણ કે આજની કાશ્મીરની સ્થિતિ 1979 કરતા પણ ખતરનાક છે. વર્ષમાં થયેલી વૃદ્ધિને ત્રણ વર્ષમાં સરકારે નષ્ટ કરી નાખી છે. કેન્દ્ર સરકાર પાસે નકસલવાદ સામે પણ લડવાની કોઈ નીતિ નથી. કાલની હેડલાઈન કાઈ રીતે બને એ ચક્કરમાં દેશની આંતરિક સુરક્ષા નેસતનાબુદ થઈ ગઈ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપની નીતિ અને નિયત સાફ નથી. ઉરી હમલા પછી પણ રશિયાએ પાકિસ્તાન સાથેની મિલિટરી એક્સરસાઇઝ ચાલુ રાખી છે. વળી પીએમ મોદી પર બોલતા તિવારીએ કહ્યું કે મોદી લાહોર શરીફની પોત્રીના લગ્નમાં ગયા જેનું પરિણામ પઠાનકોટમાં ભોગવવું પડ્યું. તો નાણાં પ્રધાન અરુણ જેટલી વિષે તેમણે કહ્યું કે તે નાણાંમંત્રી છે કે રક્ષામંત્રી એજ ખબર નથી પડતી.