ગજબ કહેવાય, ભાજપની સરકારમાં ભાજપના જ નેતા અસુરક્ષિત?
શું ભાજપ પોતાના જ રાજ્યમાં એક જાહેરસભા કરવા અક્ષમ છે? ગુજરાતનું રાજકારણ અને ભાજપ કોંગ્રેસની ગંદી રાજનિતી પર એક વિશ્લેષ્ણાત્મક લેખ.
ગુજરાતમાં છેલ્લા 15 વર્ષોથી ભાજપની સરકાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતને દેશના વિકાસનું મોડેલ ગણાવી રહ્યા છે. ગુજરાતથી જ કેન્દ્રમાં ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે ગુજરાતે મને ધણું શીખવ્યું. આજે પણ ગુજરાતમાં કંઇ પણ થાય છે તો તેને મોદીનું ગુજરાત કહેવામાં આવે છે. ત્યારે આ જ ગુજરાતમાં રાજ કરતી ભાજપ સરકારની એવી કફોડી હાલત થઇ ગઇ છે કે તે પોતાના જ રાજ્યમાં ક્યાંય પણ જાહેર કાર્યક્રમ નથી કરી શકતા અને આ વાતના છેલ્લા 6 મહિનામાં જ અનેક ઉદાહરણો છે.
Read also: 100 રૂપિયાની નવી નોટ પર નહીં હોય ગાંધીજીની તસવીર?
નોંધનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપને પોતાનો પ્રચાર કરવા માટે પણ ગામે ગામે, શેરીએ શેરીએ ફરવું જ પડશે. પણ તેમ છતાં હકીકતએ છે કે ભાજપના અનેક નેતાઓ પોતાના રાજ્યમાં એક જાહેર સભા સંબોધતા પહેલા પણ સો વાર વિચાર કરે છે. કોઇ વાર પાટીદાર લોકો થાળી કે કાળી શાહી ફેંકી જાય છે તો કોઇ વાર કોંગ્રેસ કાળી ખેસ ગળામાં ભરાવીને જતા રહે છે. ત્યારે સવાલ તે થાય છે કે શું ભાજપ તેના જ શાસનમાં સલામત અનુભવે છે?
સુરેશ પ્રભુ
રવિવારે રેલ પ્રધાન સુરેશ પ્રભુ જ્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ તેમને કાળી ખેસ અને લોલીપોપ આપી. કોંગ્રેસે રેલ મંત્રી સુરેશ પ્રભુ પર આરોપ લગાવ્યો કે તેમણે ગુજરાત પ્રત્યે ઉદાસીનતા કેળવી છે. જો કે તે પછી પોલીસે 12 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટક કરી હતી.
સાંસદ વેગડે અને નીતિનભાઇ
એટલું જ નહીં ભાજપના રાજ્યસભાના સાંસદ શંકર વેગડે પણ હાલમાં જ્યારે એક સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમને લાફો ચોડી દીધો હતો. એટલું જ નહીં થોડા સમય પહેલા જ્યારે નીતિન પટેલ એક સમૂહલગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે તેમની પર પણ પાણીના પાઉચ ફેંકવામાં આવ્યા હતા તેવી જાણકારી મળી છે.
ડૉ. ઋત્વીજ
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ પાટીદારો દ્વારા ભાજપના યુવા પ્રમુખ ડૉ. ઋત્વીજ પટેલ પર ટામેટા અને કાળી શાહી ફેંકવાની વાત બની હતી. આનંદીબેનના શાસનકાળમાં પણ અનેક નેતાઓએ તેવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાના જ મતક્ષેત્રમાં જ્યારે તે પ્રચાર કરવા જાય છે તો પાટીદારો દ્વારા થાળી વાટકા વગાડી તેમનો વિરોધ કરવામાં આવે છે.
જીતુ વાઘાણી
જીતુ વાઘાણીએ સુરેશ પ્રભુ સાથે જે ઘટના થઇ તે બાદ કોંગ્રેસને સખણાં રહેવાની સલાહ આપી છે. પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કોંગ્રેસ પોતાની આવી હરકતમાંથી બહાર નહીં આવે તો અમે પણ તેમની જ ભાષામાં તેમને જવાબ આપીશું. વધુમાં સોમવારે, નવસારીમાં આદિવાસી ગૌરવ યાત્રા પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે મારપીટ પણ થઇ હતી. જેમાં 5 કાર્યકર્તાઓને ઇજા થઇ છે.