અમદાવાદઃ ગોળીબાર કરી ચલાવી 75 લાખની લૂંટ, એકને ઇજા
અમદાવાદ, 21 નવેમ્બરઃ અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં સવારે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર જાહેરમાં ગોળીબાર કરીને 75 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાંચ જેટલા લૂંટારાઓએ પેઢીના બે કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એકને ઇજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
જાણવા મળ્યા અનુસાર લૂંટની આ સમગ્ર ઘટના ચાંદલોડિયા ખાતે આવેલા સોપાન શરણ ફ્લેટના ગેટ પાસે જ બની હતી અને સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી. ઘટના સવારે 10.06 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં બે શખ્સો સ્પષ્ટ પણે જોઇ શકાય છે, બે બાઇક પર પાંચ લૂંટારાઓ આવ્યા હતા, જેમાંથી બેએ હેલમેટ પહેરી રાખ્યા હતા. લૂંટારાઓએ પેઢીના કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો અને પૈસા ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસ લૂંટારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે