ગીર નેશનલ પાર્ક 16 જૂનથી ચાર મહિના માટે બંધ રહેશે
ચોમાસાની ઋતુ દરમિયાન જંગલમાં વન્ય સૃષ્ટિ નિખરી ઉઠતી હોય છે. આ જ સમયગાળો સિંહ યુગલો માટે શ્રેષ્ઠ સંવવનકાળ માનવામાં આવે છે. રાજ્ય સરકાર એશિયાના સિંહોની વસતી વધારવા પ્રયત્નશીલ છે ત્યારે તેમના સંવવનમાં પ્રવાસીઓના ધસારાથી કોઇ બાધા કે ખલેલ ઉભી ના થાય તે માટે અને પ્રવાસીઓની સમલામતીને પણ ધ્યાને રાખીને ચોમાસા દરમિયાન ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવે છે. આ વર્ષે 16 જૂનથી વન વિભાગ દ્વારા અભયારણ્ય બંધ કરી દેવામાં આવશે જે ઓકટોબરમાં ખુલશે.
ગીરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ચાર લાખ જેટલા પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. જેમાં આઠ હજાર વિદેશી પર્યટકો હતા. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને કારણે પણ સિંહોને તથા અન્ય વન સૃષ્ટિને ખલેલ પહોંચતી હોવાનું કેટલાક તજજ્ઞો માની રહ્યા છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇને 15 જૂન પછી 1400 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું સમગ્ર ગીર અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ થઇ જશે.
વન અધિકારીના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં હાલમાં 162 સિંહણ છે જે પૈકી સામાન્ય રીતે 50થી 55 સિંહણો સંવનન કાળમાં જોડાય છે. જેમાંથી 35 જેટલી સિંહણો સિંહ બાળને જન્મ આપતી હોય છે જ્યારે ગીરના કુલ 97 સિંહો પૈકી 80 સિંહો મેટિંગ માટે સક્ષમ છે.