સૌરાષ્ટ્રવાસીઓ આનંદો! રાજકોટ-દિલ્હીની મળશે સીધી ફ્લાઇટ
અમદાવાદ, 21 જાન્યુઆરી: જો આપ સૌરાષ્ટ્રમાં રહેતા હોવ અને દિલ્હી આપનું આવા-જવાનું રહેતું હોય અને તેના માટે આપ ફ્લાઇટથી જ જવાનું વધારે મુનાસિબ સમજતા હોવ તો આપના માટે એક ખુશીના સમાચાર છે. આ ખુશીના સમાચાર એ છે કે હવે આપને દિલ્હી જવા માટે રાજકોટથી અમદાવાદ નહીં આવું પડે કારણ કે ટૂંક જ સમયમાં રાજકોટથી દિલ્હી માટેની સીધી ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે, આ અંગેની જાહેરાત મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
નાગરિક ઉડ્ડયન સંબંધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરવા અંગેની સમીક્ષા બેઠક મંગળવારે એનેક્ષી, શાહીબાગ ખાતે યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં ગુજરાતનાં નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકોને દિલ્હી જવાં માટે વાયા અમદાવાદ જવું પડે છે તે અંગે કેન્દ્ર સરકારને ઘણાં સમયથી ગુજરાત સરકારે રજૂઆત કરી હતી અને કેન્દ્ર સરકારે તેનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને 15મી ફેબ્રુઆરીથી રાજકોટ-દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટની શરૂઆત થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત સરકારે ગુજરાતને વધુને વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તે માટે તથા મેઇન્ટેનન્સ, રીપેર અને ઓવરઓલ હબ માટે તથા ડીસા અને કેશોદ એ બે એરપોર્ટ, એરપોર્ટ ઓથોરિટી પાસે છે તેને ગુજરાતને ચલાવવા માટે આપવામાં આવે તે અંગેની કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુએ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વિકસિત થવાની ભરપૂર ક્ષમતા રહેલી છે. ગુજરાત સરકાર તરફથી આ અંગેની રજૂઆતો મળી છે અને ટ્રાફિક, કોર્ગોના પરિવહન માટે એરપોર્ટની ક્ષમતાને વિકસાવાશે. હવાઇ સેવા વધવાથી પ્રવાસન ઉદ્યોગને બળ મળવાની સાથે ઉદ્યોગના વિકાસને પણ વેગ મળશે. હવાઇ ક્ષેત્રને વધુ વિકસિત કરવાં માટે નવી વ્યૂહરચનાઓ વિકસાવી ઉડ્ડયન ક્ષેત્રને ક્ષમતાસભર બનાવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે તેની વિગતો કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં આપી હતી.
અત્રે નોંધનીય છે કે આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ ક્લેક્ટર રાજકુમાર બેનીવાલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાકેશભાઇ શાહ, ફીક્કીના પરમ શાહ તથા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.