વાઘેલાની રાજરમત? સમાજ સેવા યાદ આવતા રાહુલને કર્યા અનફોલો
ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી લડે તે પહેલા અંદર જ લડાઇ પડતા એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે શું આ શંકર સિંહને સીએમ પદ મેળવવા માટે ચાલ છે કે પછી કંઇ બીજું? જાણો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્યારે જ્યારે આવી છે ત્યારે ત્યારે બીજુ કંઇ થાય કે ના થાય કોંગ્રેસમાં ફૂટ પડવાની શરૂઆત જરૂરથી થઇ જાય છે. 15 વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસ સત્તામાં નથી. પણ તેમ છતાં જ્યારે સત્તા પર બેસવાની વાત પણ શરૂ થાય છે ત્યારે કોંગ્રેસનો આંતરવિગ્રહ શરૂ થઇ જાય છે. અને આવું કંઇ પહેલી વાર નથી બન્યું આ પહેલાની ચૂંટણી પણ આ વાતની સાક્ષી છે.આ વખતે પણ ચૂંટણી ઢંઢેરો વાગવાની સાથે જ શંકરસિંહ વાઘેલા વિવાદનું કારણ બન્યા છે.
જાણકારો માની રહ્યા છે કે ફરી એક ગુજરાત કોંગ્રેસમાં મોટી ફૂટ પડી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના તમામ નેતાઓની બેઠક મળી હતી. જેમાં શંકરસિંહ વાધેલા રાહુલ ગાંધી સાથેની બેઠક અડધી છોડી જતા રહ્યા હતા અને થોડી વાર બીજી મીટિંગ થઇ હતી તેવી જાણકારી સુત્રો દ્વારા મળી હતી. અને તેવામાં શંકર સિંહ વાઘેલાએ રાહુલ ગાંધી સમેત અનેક રાજકીય નેતાઓને સોશ્યલ મીડિયા પર અનફોલો કરતા વાતને તૂત મળ્યું છે. આ અંગે વિગતવાર જાણો અહીં....
રાહુલ ગાંધી અનફોલો
વિપક્ષ નેતા શંકર સિંહ વાઘેલાએ એક સાથે 30 જેટલા ટ્વિટર હેન્ડલને ફોલો કરવાનું બંધ કર્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સમેત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ પણ જોડાયેલું છે. એટલું જ નહીં વાઘેલાએ પ્રદેશ યુનિટ દ્વારા બોલવવામાં આવેલી સાયબર મીટમાં પણ ભાગ નથી લીધો. દિલ્હી ખાતે પણ જ્યારે ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી જોડે શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઇ હતી ત્યારે પણ તેમની વચ્ચે અણબનાવ થયો હતો અને બાપુને મનદુખ થયું છે તેવી વાતો સાંભળવા મળી હતી.
બાપુને સમાજ સેવા
જો કે આ મામલે અરવલ્લીના બાયડમાં એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે આવેલા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હવે ચુંટણીઓ બહુ લડ્યા સમાજ સેવા કરવી છે. શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈ શંકરસિંહ વાઘેલાના ચુંટણી લડવાના લઇ અનેક સવાલ ઉભા થાય છે.
શાહને બાપુની મુલાકાત
નોંધનીય છે કે જ્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે વિપક્ષના નેતા તરીકે શંકરસિંહ વાધેલા સાથે વિધાનસભામાં ઔપચારિક મુલાકાત લીધી હતી. અને તે પછી વાઘેલાની ભાજપમાં જોડાવાની વાતો પણ ઉડી હતી. જો કે વાઘેલાએ ભાજપમાં જોડાવાની તમામ વાતોને પોકળ ગણાવી હતી. અને જે રીતે વાઘેલા ગુજરાત રાજકારણના જૂના નેતા છે તે જોતા આ રાજરમતમાં કંઇ પણ થઇ શકે છે તેવું જાણકારોનું કહેવું છે.
ચૂંટણી આવે કોંગ્રેસ જાગે
જો તમે જૂની ચૂંટણીઓના ઇતિહાસ તરફ નજર કરશો તો સમજશો કે દર વખતે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે કોંગ્રેસના વિવાદ શરૂ થઇ જાય છે. આ વખતે પણ કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે કોઇ નામની જાહેરાત નથી કરી. અને આ માટે જ કોંગ્રેસની કમિટી બેઠકોમાં અનેક વાર વિવાદો પણ થયા છે. દર વખતે કોંગ્રેસ કહેતું આવ્યું થે કે તેમની વચ્ચે કોઇ પણ પ્રકારનો આંતરિક વિવાદ નથી. પણ ચૂંટણી આવતા જ જીતવા કરતા કોંગ્રેસ અંદર અંદર ઝગડાઇ મર્યું છે તે પણ હકીકત છે.
વાઘેલા પર આરોપ
ગુજરાત રાજકારણમાં તેવું પણ કહેવામાં આવે છે કે શંકરસિંહ વાઘેલા એક રીતે દર ચૂંટણીમાં કોંગ્રેસમાં કોઇ વિવાદ ઊભો કરીને એક રીતે ભાજપને જીતવામાં જ મદદ કરે છે. ભૂતકાળમાં આવા આરોપ ખુદ કોંગ્રેસી નેતાઓએ આડકતરી રીતે વાઘેલા પર લગાવ્યા છે. જો કે શંકરસિંહ વાઘેલા અને અન્ય કોંગ્રેસે નેતાઓએ આ આરોપો નકાર્યા પણ છે. ત્યારે શું આ શંકરસિંહ વાઘેલાની કોઇ રાજરમત છે? કે પછી ખરેખરમાં તે પણ આનંદીબેનની જેમ 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઇને ખરેખરમાં સમાજ સેવા કરવા માંગે છે. આ તમામ સવાલના જવાબ તો હવે ખાલી બાપુ જ આપી શકે છે.
{promotion-urls}