વેલેન્ટાઇન ડે બન્યો કાળ : સુરતમાં દેવાદાર પિતાએ ત્રણ પુત્રીઓને નહેરમાં ફેંકી
સુરત, 14 ફેબ્રુઆરી : સુરતમાં વેલેન્ટાઇન ડે સંજય વિમલશંકર દુબેના પરિવાર માટે કાળનો દિવસ બન્યો હતો. દુબેને સાડા ત્રણ લાખનું દેવું થઇ જતા તેણે પોતાની ત્રણ દીકરીઓને મેળામાં લઇ જવાના બહાને ઉભરાટ મરોલી રોડ પર માંગરોળ પાસે નહેરમાં નાખીને ડૂબાની દઇને પોતે રેલવે ટ્રેક પર આપઘાત કરવા પહોંચ્યો હતો.
સુરત નજીક જ નવસારી જિલ્લામાં ઉભરાટ-મરોલી માર્ગ માંગરોળ ગામની સીમમાં નહેરમાંથી ત્રણ બાળકીઓની લાશ મળી આવી હતી. આ દરમિયાન જ આ ત્રણેય બાળકીઓનો પીતા આજે સવારે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા આપઘાત કરવા ગયો હતો અને તેને પકડી પાડ્યો હતો.
તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે દેવું થઈ ગયું હોવાને કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મરોલી પાસેના ઊભરાટ મરોલી માર્ગ પર માગરોળ ગામની સીમમાંથી નહેરમાં તરતી ત્રણ બાળકીઓની લાશ મળી આવી હતી. આ લાશ મળતા જ ગામના સરપંચે તુરંત પોલીસને સંપર્ક કર્યો હતો અને આ લાશ વિશે જાણ કરી હતી.
પોલીસ સવારમાં તો ઘટના સ્થળે પહોંચી જઈને ત્રણેય લાશોને બહાર કાઢી હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી, તેમ જ આગળની તપાસ હાથ ધરી હતી, પણ સુરતથી આરોપી પકડાતા આખો મામલો સામે આવ્યો હતો.
સુરતના પાંડેસરા હરિઓમ નગરના હાઉસિંગ બોર્ડ 182 ખાતે રહેતા અને મૂળ યુપીના ભાંડોંહીના સુર્યાભાનપુર શીવનાથ પટ્ટી અને સુરતમાં પ્રિન્ટિંગ કોન્ટ્રેક્ટર તરીકે કામ કરતા સંજય વિમલશંકર દુબે(ઉંમર 36)ને 3.5 લાખનું દેવું થઈ ગયું હતું. આ દેવાના બોજની નીચે જીવવું ઘણું આકરું થઈ ગયું હતું અને તેના કારણે પોતાનો જ નહીં પણ આખા પરિવારનું નિકંદન કરવાનો ક્રુર વિચાર વિમલશંકરના મનમાં આવ્યો હતો.
દુબેએ પોતાની દીકરીઓને આકાંક્ષા, પ્રીયા અને ગુડ્ડુને સાંજે 6 વાગ્યા આસપાસ ઘરેથી ત્રણેય બાળકીઓને મેળામાં લઈ જવા અને કપડા અપાવવાનાં બહાને લઈને નીકળ્યો હતો. ઊભરાટ મરોલી રોડ પર માંગરોળ પાસે રાત્રીના સમયે કોઈ જોઈ ન જાય એ આશયથી તેણે ત્રણેય દીકરીઓને ડૂબાવીને મારી દીધી હતી અને પોતે આપઘાત કરવા નીકળી પડ્યો હતો.