Excl : શ્વેતાને ગુજરાત ઓળખે છે, મણિનગર નહિં
અમદાવાદ, 30 નવેમ્બર : કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે નિલંબિત આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને મણિનગરમાંથી ચુંટણીના મેદાને ઉતાર્યાં છે. શ્વેતા ભટ્ટની એમ તો રાજકીય કે પક્ષગત કોઈ ઓળખ નથી. ગુજરાતના રાજકારણ સાથે એમને દૂર-દૂર સુધી લેવા-દેવા નથી રહ્યાં, પરંતુ પોતાના પતિ સાથે ગુજરાત સરકાર અને ખાસ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલ કથિત અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે તેઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક પીડિત આઈપીએસ ઑફિસરના પત્ની તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યાં છે.
શ્વેતા ભટ્ટનું નામ જાહેર થયા બાદ અમે કેટલાંક સ્થાનિક લોકો સાથે આ અંગે ચર્ચા કરી, તો લોકોના જે જવાબ મળ્યાં, તે ચોંકાવનારા હતાં. અનેક લોકોએ તો પહેલો પ્રશ્ન એ જ કર્યો કે આ શ્વેતા ભટ્ટ કોણ છે? નરેન્દ્ર મોદીને તો બધા ઓળખે છે. મોદી મણિનગરમાંથી ત્રીજી વાર ચુંટણી લડી રહ્યાં છે. 2002 અને 2007માં તેઓ અહીંથી વિજયી થઈ ચુક્યાં છે. એટલે છેલ્લા દસ વરસથી તેઓ મણિનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. એટલું જ નહિં, તેઓ મુખ્યમંત્રી તરીકે અતિ વ્યસ્ત હોવા છતાં વારે-તહેવારે મણિનગર આવે છે. એટલે એમને ઓળખની જરૂર રહેતી નથી, પરંતુ શ્વેતા ભટ્ટને કદાચ મણિનગરમાં બહુ ઓછા લોકો ઓળખે છે.
શ્વેતા ભટ્ટ અત્યાર સુધી ટેલીવિઝન કે ન્યુઝ ચૅનલો અથવા છાપાઓમાં ચર્ચામાં રહ્યાં છે. તેમના પતિ સંજીવ ભટ્ટ સામેના કેસો, સંજીવ ભટ્ટની ધરપકડ, તેમનો છુટકારો જેવા સમાચારો વચ્ચે શ્વેતા ભટ્ટના સંઘર્ષની વાર્તાઓ લોકોએ સાંભળી-જોઈ હશે અને ભુલી પણ ગયાં હશે. કદાચ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્વેતા ભટ્ટ પ્રખ્યાત હશે, પરંતુ મણિનગરમાં તેમને બહુ ઓછા લોકો ઓળખે છે. હા, એક વાર સંજીવ ભટ્ટનું નામ લેતાં, લોકો માથું ખંજવાળીને પણ યાદ કરી લે છે કે હા તેઓ આઈપીએસ ઑફિસર છે, પરંતુ આ શ્વેતા ભટ્ટ કોણ છે?