બહેચરાજી મંદિરનો મુખ્ય ગુંબટ તૂટી પડ્યો, કોઇ જાનહાનિ નહીં
બહેચરાજી, 5 માર્ચ: આજે પૂનમ છે, અને તેની સાથે સાથે હોળીનો તહેવાર પણ. જેના પરિણામે આજે રાજ્યના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં આવેલા બહેચરાજીમાં આવેલા બહુચર માતાજીના પ્રખ્યાત મંદિરમાં આજે અકલ્પનિય ઘટના ઘટી ગઇ. મુખ્ય મંદિરના ગુબંટનો ભાગ આજે તૂટી પડ્યો જેનાથી સૌ કોઇ ચોકી ઊઠ્યા.
બહેચરાજીના મુખ્ય મંદિરનો કળશવાળો ભાગ ત્યારે તૂટી પડ્યો જ્યારે પૂનમ હોવાના કારણે હજારો ભક્તો માતાજીના દર્શન માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. જોકે મંદિર સત્તાધિશોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી કારણ કે મંદિરનો કળશનો ભાગ મંદિરની અંદર નહીં પરંતુ મંદિરની બહારની બાજુ 10-15 ફૂટ દૂર પડ્યો હતો. અત્રે કોઇ નહીં હોવાના કારણે કોઇ જાનહાનિ થઇ નથી.
મંદિર સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરની કામગીરીના કામ માટે આર્કિટેક્ટને સંપૂર્ણ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા, તેમ છતાં આવી ઘટના કેવી રીતે ઘટી અને કળશનો ભાગ કેવી રીતે તૂટી પડ્યો એ તમામની તપાસ કરવામાં આવશે અને તે અંગે પગલા ભરવામાં આવશે. નોંધનીય છે કે મંદિરના કળશવાળા ભાગનો નિર્માણખર્ચ લગભગ 24થી 25 લાખ કરવામાં આવ્યો હતો.