અમદાવાદ સમેત રાજ્યભરમાં છવાયા વાદળા...
ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલ્ટો, વાદળા છવાતાં લોકોના મનમાં થયો હાશકારો.
અમદાવાદ : અમદાવાદ સહીત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા રાજ્યભરમાં ગરમીનો પારો ગગડ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન શાસ્ત્રી ડૉ મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની દિશા બદલાતા રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યમાં પવન અરબી સમુદ્ર તરફથી આવતા પવનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. અને વાદળછાયું વાતારણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. તેની સાથે તાપમાન ત્રણ થી ૪ ડીગ્રી નીચે જાય તેવી શક્યતા છે. વાદળછાયું વાતાવરણને લઇ ભારે ઉકળાટ છે પણ તેની સાથે ગરમીના પારામાં ઘટાડો આવ્યો છે.
જો કે કાળજાળ ગરમી અને બફારા બાદ વાતાવરણના આવેલા આ પલટાના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે. અને ગરમીના કારણે જે સાર્વજનિક ફરવાની જગ્યાએ સન્નાટો જોવા મળતો હોય છે. ત્યાં લોકોની ચહેલ પહેલ જોવા મળી હતી. એક તરફ જ્યાં શાળા ખુલવાને હવે થોડા જ દિવસોની વાર છે ત્યારે લોકોએ વેકેશન પહેલા પાર્ક જેવી જગ્યાઓની મુલાકાત લઇને આ સુંદર વાતાવરણની મજા માણી હતી.