રાજ્યસભા ચૂંટણી: અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને અહમદ પટેલને મળી જીત
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અમિત શાહ, અહમદ પટેલ અને સ્મૃતિ ઇરાનીની થઇ જીત. જાણો કોને કેટલા વોટ મળ્યા. અને સાથે જાણો કેમ થયો આટલો વિવાદ
ગુજરાત રાજ્યસભાની ત્રણ સીટો માટેની ચૂંટણીએ મંગળવાર રાત સુધી ગુજરાતના રાજકારણ પર એક સુનામી સર્જી હતી. જોકે લાંબી કવાયત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસના અહમદ પટેલની આ ચૂંટણીમાં જીત થઇ હતી. જો કે ભાજપને બલવંત સિંહ રાજપૂતની સીટ પર હાર મળી હતી. જો કે આંકડાઓના સાદા ગણિત મુજબ પહેલા પણ આ ત્રણની જ જીતની સંભાવના વધુ હતી ત્યારે નીચે જાણો કોને કેટલા વોટ મળ્યા અને કોણે કોને જોડે કર્યો ડખો.
અહમદ પટેલ
ભારે રાજકીય કાવાદાવા પછી રાતે 2 વાગે કોંગ્રેસને અહમદ પટેલની જીતના રૂપે મોટી સફળતા મળી. ભાજપના દાવાઓ અને વિરોધ વચ્ચે કોંગ્રેસ આ જીત ખરેખરમાં અદ્ઘભૂત જીત રહી. 44 વોટ સાથે અહમદ પટેલ જીતી ગયા. જે બાદ આખી રાત કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારે ધૂમધામથી આ જીતને મનાવી.
શાહ અને ઇરાની
તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને 46 અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને 45 વોટ મળ્યા. ઉલ્લેખનીય છે કે અમિત શાહ પહેલી વાર રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા હતા. અને મંગળવારે રાતે પરિણામો ના આવ્યા ત્યાં સુધી તે કાઉન્ટીંગ સેન્ટરની બહાર જ ભાજપના અન્ય નેતાઓ જોડે બેઠા હતા. જો કે ભાજપના ત્રીજા ધારાસભ્ય બલવંત સિંહ રાજપૂતને 38 વોટથી હારવું પડ્યું.
પંચ બન્યું પરમેશ્વર
જો કે રાજ્યસભાની આ જીતમાં ચૂંટણી પંચે ખરેખરમાં પંચ પરમેશ્વરની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસે જ્યારે લેખિતમાં તેના આરોપો આપ્યા અને તે પછી બન્ને પાર્ટીઓના મોટા નેતાઓ જે એક પછી એક દિલ્હી ખાતે મુલાકાતોનો દોર શરૂ કર્યો તે બાદ પણ તટસ્થતાથી નિર્ણય લઇ તેમણે રાતના 1 વાગે ફરી કાઉન્ટીંગ શરૂ કરાવ્યું. ઉલ્લેખનીય છે કે આ પહેલા કદી ગુજરાતમાં આવ્યું બન્યું નથી કે રાતના 1 વાગે રાજ્યસભાની ચૂંટણી માટે આ રીતે બધાને જગાડીને પરિણામો જાહેર કર્યા હોય.
ભાજપને દગો
ભાજપને પણ હાથે કર્યા હૈયે વાગ્યા એટલે કે જે ક્રોસ વોટનું દુખ કોંગ્રેસને થયું તેવું ભાજપને પણ સહન કરવાનો વારો આવ્યો જ્યારે રાતના બીજેપી વિધાયક નલીન કોટડિયાએ તેમના ફેસબુક પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે ભાજપને વોટ નહીં પણ અહમદ પટેલને વોટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ માટે તેમણે પાટીદાર યુવાઓની મોતનું કારણ આગળ આપ્યું હતું.