હાર્દિક: આંદોલન બંધ કરવા મને કરાઇ 1200 કરોડની ઓફર
રાજદ્રોહ જેવા ગંભીર આરોપો હેઠળ સુરતની લાજપોર જેલમાં, જેલની હવા ખાઇ રહેલા હાર્દિક પટેલે તેના પિતાના નામ પર એક નવો લેટર બોમ્બ મોકલ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે જેલમાં તેને કેટલાક આઇએએસ અધિકારીઓ પાછલા ત્રણ ચાર દિવસથી મળવા આવે છે. જે તેને આંદોલન બંધ કરવા માટે દબાણ કરી રહ્યો છે. અને આંદોલન બંધ કરવા માટે 1200 કરોડની ઓફર પણ કરી રહ્યો છે. સાથે જ રાષ્ટ્રિય કક્ષાના ભાજપના યુવા મોરચાનું પદ આપવાની પણ ઓફર કરી રહ્યા છે.
ત્યારે જેલના પદાધિકારીના કહેવા મુજબ તેમણે આવો કોઇ જ પત્ર હાર્દિક દ્વારા જેલથી મોકલવામાં આવ્યો હોવાની વાત નકારી છે. ત્યારે જ્યાં આ પત્ર હાર્દિકે જ લખ્યો છે કે કેમ તે અંગે શંકા કુશંકાઓ થઇ રહી છે. અને બીજી તરફ આ લેટરમાં કેટલીક તેવી વાતો કહેવામાં આવી છે જે ચોંકવનારી છે. જો કે આ લેટરમાં હાર્દિકે કહ્યું છે કે તે સમાજ જોડે ગદ્દારી નહીં કરે સાથે જ કહ્યું છે કે હું જેલમાંથી ના છૂંટું તો ચિંતા ના કરતા. કાયદાને મને જામીન આપવી હશે તો આપશે. ત્યારે શું શું લખવામાં આવ્યું છે હાર્દિકના આ લેટર બોમ્બમાં તે વિષે વધુ જાણો નીચેના આ આર્ટીકલમાં...
એક IAS અધિકારી મળવા આવે છે
પોતાના આ પત્રમાં હાર્દિકે જણાવ્યું છે કે તેને છેલ્લા થોડાક દિવસથી એક આઇએએસ અધિકારી અને બે-ત્રણ વ્યક્તિઓ મળવા આવે છે. આ આઇએએસ અધિકારી સરકારમાં મોટો હોદ્દો અને શાખ ધરાવે છે તેવો હાર્દિકનો દાવો છે. વધુમાં આ લેટરમાં હાર્દિકે લખ્યું છે કે આ વ્યક્તિની જ હાથમાં ગુજરાતની લગામ છે.
દિલ્હીથી અપાયો હતો લાઠીચાર્જ-ગોળીબારનો આદેશ
વધુમાં હાર્દિકે ધટસ્ફોટ કરતા આ લેટરમાં લખ્યું છે કે આ વ્યક્તિએ હાર્દિકને જણાવ્યું છે કે પાટીદારો પર લાઠીચાર્ઝ અને ગોળીબાર પાછળ તેને દિલ્હીથી ઇશારો થયો હતો. આમ કહીને હાર્દિકે સીધે સીધું નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે.
1200 કરોડની ઓફર અને ભાજપ યુવા મોરચો
વધુમાં હાર્દિકે જણાવ્યું છે કે આ અધિકારી હાર્દિક પટેલને આંદોલન બંધ કરવા માટે દબાણ કરી રહ્યો છે અને આંદોલન બંધ કરવા માટે 1200 કરોડની ઓફર અને સાથે જ રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચાના પદની ઓફર પણ કરી રહ્યો છે.
ધમકી: "આંદોલન બંધ કર નહીં તો જેલમાં સડ!"
વળી હાર્દિકે કહ્યું કે આ અધિકારીએ તેને ધમકી આપી છે કે જો તે આંદોલન બંધ નહીં કરે તો હાર્દિકને આખી જિંદગી જેલમાં જ સબડવાનો વારો આવશે.
સમાધાનની ના પાડજો
જો કે હાર્દિકે આ પત્રમાં લખ્યું છે કે તેને આ ઓફર ઠુકરાવી દીધી છે કારણ કે 1200 કરોડ રૂપિયા છેવટે તો ખેડૂત, નોકરીયાત લોકો જોડેથી ઉગરાશે. તેના કરતા હું જેલમાં જ સારો. તેણે તેના પિતા પણ કહ્યું છે કે હવે કોઇ સમાજનો નેતા કે રાજકીય નેતા સમાધાનની વાત લઇને આવે તો ના પાડજો.
ભલે હું જેલમાં રહ્યો : હાર્દિક
હાર્દિકે આ પત્રમાં જણાવ્યું છે કે તે સમાજની લડાઇ નિસ્વાર્થે લડી રહ્યો છે. અને તેને કોઇ ફરક નથી પડતો કે તે જેલમાં છે. વધુમાં તેણે પિતાના કહ્યું છે કે જેલમાંથી પોતાને છોડાવા કરતા અન્ય યુવાનોને છોડાવાની વાત કરે.
જામીન મળશે તો ભૂરીના લગ્ન ધામધૂમથી કરીશું
તેણે કહ્યું ન્યાય વ્યવસ્થાને મને જામીન આપવા હશે તો આપશે. બાકી મારી ચિંતા કરતા નહીં. જેલમાંથી બહાર આવીશ તો બહેન ભૂરી (મોનિકા)ના લગ્ન ધામધૂમથી કરીશું.
જેલરે કહ્યું આ પત્ર હાર્દિકેનો નથી!
જો કે લાજપોર જેલના અધિકારીઓનું કહેવું છે કે જેલમાંથી આવા કોઇ પત્રને હાર્દિક દ્વારા મોકલવામાં નથી આવ્યો. તેમની નોંધપોથીમાં આવા કોઇ પત્રનો ઉલ્લેખ નથી. જો કે જેલના અધિકારીઓએ આવો પત્ર જેલની બહાર લખાયો હોવાની વાત પર શંકા સેવી છે. ત્યારે તે વાત પણ સ્પષ્ટતા માંગી લે છે કે શું ખરેખરમાં આ પત્ર હાર્દિક દ્વારા જ લખવામાં આવ્યો છે? અને શું ખરેખરમાં જેલમાં હાર્દિકને આવી કોઇ ઓફર કરવામાં આવી છે??