હાર્દિકે જેલમાં કર્યો અન્નનો ત્યાગ, સુરતમાં બસો સળગાવતા તગંદિલી
એક બાજુ ગુરુવારે સમાચાર આવ્યા હતા કે પાટીદાર અનામત આંદોલન કદાચ સંકેલાઇ જશે. જે રીતે નીતિન પટેલ અને પાટીદાર નેતાઓ વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી હતી તે બાદ તો તેવું જ લાગતું હતું કે સમાધાન થઇ જશે. પણ જ્યારે જ્યારે સમાધાનની વાત આવે છે ત્યારે ત્યારે હાર્દિક પટેલ દ્વારા કંઇક અલગ જ રાગ આલાપમાં આવે છે તેવું પહેલા પણ બન્યું છે અને આજે પણ. ગુરુવારે સુરતની લાજપોર જેલમાં હાર્દિક પટેલે અન્ન ત્યાગ કર્યો છે. આ માટે તેને જેલરને તારીખે લેખિતમાં જાણ પણ કરી હતી.
જે બાદ લોકોએ હાર્દિકના અન્ન ત્યાગનો વિરોધ કરવા માટે સુરતના સરથાણામાં બે એસટી બસોને ગુરુવારે રાતના 1:25 વાગ્યાની આસપાસ પેટ્રોલ છાંટી બાળી દીધી હતી. જે બાદ ફાયરબ્રિગ્રેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે તે પછી પણ ગુજરાતભરમાં અસંતોષ અને તંગદિલિને જોતા સુરત સમેત સમગ્ર ગુજરાતના પોલિસને સતર્ક કરવામાં આવ્યું છે. અને મોટી સંખ્યામાં પોલિસ કાફલાને સુરતમાં ઉતારવામાં આવ્યો છે. ત્યારે વિવિધ નેતાઓએ આ અંગે શું કીધુ, કેમ હાર્દિક પટેલને અન્ન ત્યાગ કરવો પડ્યો, કેવા કારણોથી તેના વકીલને પણ તેને મળવા નથી દેવામાં આવતો તે વિષે વધુ જાણો નીચેના આર્ટીકલમાં
કેમ બસોને આગ લગાવાઇ?
ગત રાતે વિવિધ અફવાઓ આવવા લાગી કે હાર્દિક પટેલને સુરતની લાજપોર જેલમાં માનસિક અને શારિરીક ત્રાસ આપવામાં આવે છે. તેને ઘરનું ખાવાનું દેવામાં નથી આવતું. 1200 કરોડની ઓફર વાળા પત્રના બહાર આવ્યા બાદ તેની જોડે આ રીતે વર્તન કરવામાં આવે છે તેવી વાતોથી ઉશ્કેરાઇને બસોને આગ લગાવામાં આવી તેવું પ્રાથમિક તપાસ બહાર આવ્યું. જો કે પાટીદાર સમાજના નેતાઓ આ અંગે પોતાની તપાસ આદરી છે.
કેમ હાર્દિકને ઘરનું ટીફિન બંધ કર્યું?
જેલમાં પણ વ્યવસ્થા સાચવવા માટે નિયમો હોય છે. જે મુજબ હાર્દિક પટેલે જેલ મેન્યુઅલને તોડ્યો છે. તે જેલની બહાર 1200 કરોડનો પત્ર લખ્યા બાદ હાર્દિક માટે નિયમો કડક બનાવાય છે. અને અન્ન ત્યાગ કરતા નિયમ મુજબ તેને અલગ કોટડીમાં મૂકવામાં આવ્યો છે. પણ તેને પીવાનું સમય સર આપવામાં આવે છે. જો કે અન્નનો ત્યાગ કરતા તેને તેના વકીલ કે સાથીઓથી નથી મળવા દેવામાં આવતો.
કેમ હાર્દિકે અન્નનો ત્યાગ કર્યો?
હાર્દિકે અન્નનો ત્યાગ કરતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે. કેટલાકનું માનવું છે કે હાર્દિકે અનામત આંદોલન અને જેલમાંથી સાથીઓની મુક્તિ માટે અન્ન ત્યાગ કર્યો છે. તો અન્યનું કહેવું છે કે સમાધાન થતા હાર્દિકનું વેલ્યુ ઓછું થઇ જશે માટે પબ્લિસીટી સ્ટંટ કરવા માટે હાર્દિકે અન્નનો ત્યાગ કર્યો છે.
પાસની અપીલ
જો કે પાસના નેતાઓએ લોકોને શાંતિ જાળવવા અને ગાંધી માર્ગે આંદોલન ચાલુ રાખવાની અપીલ કરી છે. હાર્દિકના અન્ન ત્યાગ બાદ સુરત અને ઉત્તર ગુજરાતમાં પણ અનેક પાટીદારો અનશન પર ઉતર્યા છે. તેમ છતાં સુરતમાં તંગદિલીનો માહોલ છે. જે જોતા પોલિસ કાફલો ત્યાં ખડકવામાં આવ્યો છે.
અફવાઓથી દૂર રહો શાંતિ રાખો
ત્યારે વનઇન્ડિયાની તો ગુજરાતભરના લોકોને એક જ અપીલ છે કે વિવિધ અફવાઓથી દૂર રહીને રાજ્ય પરમાં શાંતિનો માહોલ બનાવી રાખો.