CM વિજય રૂપાણીએ કર્યું સુરેન્દ્રનગરનું હવાઇ નિરીક્ષણ
ગુજરાતના અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ વર્ષે ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે. છેલ્લા કેટલાયે સમયથી ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોમાં વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હોવાના સમાચાર આવ્યા હતા. ગત અઠવાડિયે ઉત્તર ગુજરાતમાં લગભગ 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હજુ પણ રાજ્યમાં વરસાદ યથાવત છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ઠેર-ઠેર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. શનિવારે ચોટિલા જિલ્લામાં પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરેન્દ્રનગરમાં પણ એનડીઆરફની ટુકડી દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
|
CM એ કર્યું વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ
સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ તારાજી સર્જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે ચોટીલામાં અધિકારીઓ સાથે મુલાકાત કરી તેમને જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી. રાજ્યમાં વરસાદના કરાણે ગંભીર રૂપ ધારણ કરી રહેલ પરિસ્થિતિનો તાગ મેળવવા તથા જરૂર પડતાં રાહત-બચાવ કાર્ય ઝડપથી થાય એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ગાંધીનગર ખાતેના સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં સ્ટેટ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહે છે.
સુરેન્દ્રનગરમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન
શનિવારે પણ સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોટીલામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ, નદી અને તળાવોમાં ઓવરફ્લોને કારણે આસપાસના ગામડાઓમાં પાણી ઘુસી જતાં ભારે નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરના ખંભલાવ ગામડાના લોકોને પાણી વચ્ચેથી એનડીઆરએફની ટુકડી દ્વારા ઉગારવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું હતું, શનિવારે રાત્રે પણ વરસાદનું જોર યથાવત હતું. લગભગ 7000 લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા, પાણી ઉતરી ગયા બાદ 2780 લોકોને ઘરે પરત મોકલાયા હતા.(ફોટો: ANI)
અમદાવાદ
વરસાદને કારણે અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક જુના મકાન પણ ધારાશયી થયા હોવાની ખબરો છે. 132 રિંગ રોડ પર પણ પાણી ભરાયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. વાસણા બેરેજની સપાટી હાલ 128.75 ફૂટ પહોંચી છે, 137 ફુટે આ બેરેજ ઓવરફ્લો થાય છે.
મોરબી
મોરબી જિલ્લા ખાતે પણ વરસાદને કારણે પરિસ્થિતિ વણસી હતી. ધોધમાર વરસાદને પગલે મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલાતાં અનેક ગામોમાં પાણી ભરાયા હતા. મોરબીને હાલ રેડ એલર્ટ પર મુકવામાં આવ્યું છે. મોરબી તથા આજુબાજુના ગામોમાં શનિવારે સવાર સુધીમાં 8થી 10 ઇંચ વરસાદ પડતાં અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.શુક્રવારે મોરબીના માળિયામાં સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાઇ ગયો હોવાના પણ સમાચાર આવ્યા હતા.
ધારૈય ડેમ થયો ઓવરફ્લો
આ ઓછું હોય એમ ધારૈય ડેમ ઓવરફ્લો થતાં ગ્રામજનોની પરિસ્થિતિ વધુ કોફીડી બની હતી. 8 ફૂટના સપાટીએ ડેમ ઓવરફ્લો થતાં આજુ-બાજુના ગામોમાં ચારેય બાજુ પાણી ભરાયા હતા. આ સાથે નદીઓ અને ચેકડેમો પણ ઓવરફ્લો થઇ ગયા હતા. જો કે, શનિવારે રાત્રે વરસાદનું જોર થોડું ઓછું થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
24થી 26 જુલાઇ દરમિયાન ભારે વરસાદની આગાહી
શનિવારે સવારથી ચાલુ થયેલ વરસાદ રાત સુધી પડતાં કલોલમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના દિયોદરમાં 8 ઇંચ, પાટણના રાધનપુરમાં 6 ઇંચ, આસપાસના અન્ય ગામોમાં 2થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ 24થી 26 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.