વરસાદનો કાળો કહેર, 10ની મોત, મગફળી પાકને નુક્શાન
ગુજરાતમાં ઠેર ઠેર થઇ રહ્યો છે વરસાદરાજકોટમાં 2 ઇંચ વરસાદ, રાજ્યમાં 10 લોકોની વિજળીથી મોત
રાજ્યભરમાં છેલ્લા બે દિવસોથી પડેલા ભારે વરસાદે જાનમાલનું મોટું નુક્શાન કર્યું છે. રાજકોટમાં બે ઇંચ વરસાદ શુક્રવારે પડ્યો હતો. વિજળી પડવાના કારણે ભરૂચ, જેતપુર એમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી 10 લોકોની મોત થયા હોવાની જાણકારી મળી છે. સાથે જ રાજ્યભરના અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ઝાડ પડવા અને વિજળી ડૂલ થવાની ઘટનાઓ પણ બની હતી.અમદાવાદ તરફ જ્યાં હજી ગરમીનો પ્રભાવ વધુ જોવા મળે છે ત્યાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદે ખેડૂતોના પાકને મોટું નુક્શાન કરાવ્યું છે.
આ કમોસમી વરસાદથી નર્મદા, પંચમહાલ સમેત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જીવન અસ્ત વ્યસ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે નૌઋત્યનું નિયમિત ચોમાસુ આવવાની તો હજી ગુજરાતમાં વાર છે પણ તે પહેલા જ ખાબકી પડેલા આ વરસાદે રાજકોટ જેવા અનેક શહેરોની શેરીને નાના ઝરણાંમાં ફેરવી દીધા હતા. ત્યારે આ વરસાદ પછી પાણીજન્ય રોગામાં વધારો ન થાય તે પણ જોવું પડશે.