ગુજરાત જળબંબાકાર: 1500 લોકોનું સ્થળાંતર, 100થી વધુને બચાવાયા
રાજકોટ, બનાસકાંઠા, મોરબી સમેત ગુજરાતના તમામ જિલ્લામાં પૂરની સ્થિતિ અંગે વિગતવાર જાણો અહીં. સાથે જ જુઓ તસવીરો.
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઇ છે. આ અંગે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી પંકજ કુમારે રાજ્યની સ્થિતિ અંગે જણાવતા કહ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 11 તાલુકામાં 125 મીમીથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ 450 મીમી અને ટંકારામાં 340 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ગત વર્ષ 810 મીમી વરસાદ સામે હજી 163 મીમી એટલે કે 20 ટકા જ વરસાદ નોંધાયો છે. જો કે ભારે વરસાદ પગલે વીજળી પડવાથી બે લોકો અને દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. સાથે જ રાજ્યના 13 ડેમ ઓવરફ્લો થયા છે. હેઠવાસના લોકોને આ માટે સાવચેત કરાયા છે. સાથે જ સાવચેતી રૂપે રાજકોટ-મોરબી-પડધરીમાં શાળા-કોલેજ બંધ રાખવામાં આવી છે. અને ત્રણેય પાંખના વડાઓ સાથે સંભવિત સ્થિતિ પહોંચી વળવા માટે સમીક્ષા કરવામાં આવી છે. સાથે જ એનડીઆરએફની 11 કંપનીને એલર્ટ પર રાખવામાં આવી છે. ત્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા જેવી રાજ્યની અલગ અલગ જગ્યાઓ પર વરસાદનું શું સ્થિતિ છે, તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે વિગતવાર જાણો અહીં...
તંત્ર દ્વારા બચાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં ફસાયેલા લોકોને ઉગારવા માટે એનડીઆરએફ ટીમોએ ઓપરેશન શરૂ કર્યું છે. ભારે વરસાદના પગલે રાજ્યભરના 1500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને 100 વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. વધુમાં સુરત, વલસાડ, પાલનપુર, રાજકોટ અને ગાંધીનગર ખાતે એનડીઆરએફની એક એક ટુકડીને મોકલવામાં આવી છે. જ્યારે અન્ય પાંચ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. સાથે જ ટંકારા અને મોરબીમાંથી 100 વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. સાથે જ વરસાદ કારણે 3 લોકોની મોત થઇ છે.
ચોટીલા-સુરેન્દ્રનગર
શુક્રવારે ચોટલીમાં આભ ફાટતાં 20 થી વધુ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આટલો વરસાદ પડતાં ચોટીલા જલમય બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એનડીઆરએફની ટીમને બોલાવીને લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ નાયકા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ ભોગાવો નદીમાં પાણીના પ્રવાહમાં બે લોકો ફસાતા તંત્રની મદદ લેવાઇ હતી.
રાજકોટ
રાજકોટમાં 18 ઇંચ વરસાદ પડ્યો છે. શાળા કોલેજ બંધ કરવા છતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વધુમાં આજી ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. રાજકોટમાં ભારે વરસાદના પગલે તંત્ર પણ સાબદુ થયું છે. ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉન તેવા રાજકોટમાં વરસાદે માઝા મૂકતા સામાન્ય જનજીવન અસ્થ વ્યસ્ત થઇ ગયું છે. રાજકોટ રમાનાથ મહાદેવ મંદિર સમેત મોલમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
બનાસકાંઠા
બનાસ નદીમાં જાણો પાણીનો ઘોડાપૂર સર્જાયું હોય તેમ બે કાંઠે ભયજનક સ્થિતિમાં વહી રહી છે. આના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઇ છે. પણ અમીરગઢ વિસ્તારના કેટલાક ગામો વરસાદના કારણે સંપર્કવિહોણા બન્યા છે. વધુમાં હિંમતનગરમાં વીજળી પડતા અને અરવલ્લીમાં દિવાલ પડતા કુલ 2 લોકોના મોત થયા છે. બનસકાંઠામાં હાલ તો રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને પાલનપુર ખાતે એનડીઆરએફની એક ટુકડીને મોકલવામાં આવી છે.
અમદાવાદ
તો અમદાવાદમાં પણ સવારથી જ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદના પગલે વાસણા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. એએમસીએ કંટ્રોલરૂમ પણ શરૂ કર્યો છે. પણ તેમ છતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.