અમદાવાદ, 11 એપ્રિલ : ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014 લડવા માટે વડોદરાની બેઠક પર થી ભરેલા ઉમેદવારીપત્ર સાથેના સોગંદનામાએ ચર્ચા જગાવી છે. આ સોગંદનામામાં તેમણે પોતે પરિણિત હોવાનો સ્વીકાર કર્યો છે. લગ્ન મામલે કરેલી સ્વીકૃતિને કારણે તેમની ચોતરફી ટીકા થઇ રહી છે, ત્યારે તેમના કટ્ટર રાજકીય હરીફ ગણાતા કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા તેમના બચાવમાં આવ્યા છે.
શંકરસિંહે મોદીનો બચાવ કરતા કહ્યું છે કે મોદીના વ્યક્તિગત જીવનની વાતોને જાહેરમાં ઉછાળવી જોઈએ નહીં. વાઘેલા કહ્યું હતું કે તેમણે મોદીના જીવનને નજીકથી અનુભવ્યું છે અને તેઓ જશોદાબેન સાથે ક્યારેય પતિની જેમ નથી રહ્યા. સાથે જ મોદીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે જશોદાબેન તેમની પત્ની રહ્યા છે અને તેઓ પણ મોદીને પતિ માને છે.
શંકરસિંહે આપેલા આ નિવેદનને કોંગ્રેસ પક્ષની અંદર ચાલી રહેલી રાજનિતી સાથે જોડવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને માત આપવા માટે વાઘેલાએ આ નિવેદન આપ્યું છે. મોઢવાડિયા અગાઉ પણ મોદીના લગ્નના મુદ્દાના જાહેરમાં ઉછાળતા રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા ખાતે કાલે મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં તેમણે જશોદાબેનને પોતાના પત્ની તરીકે દર્શવ્યા હતા. મોદીએ પહેલી વાર જાહેરમાં તેમના લગ્નની વાતને સ્વીકારી હતી. જેને લઈને કેટલાક વિરોધીઓએ મોદી પર પ્રહારો કર્યા હતા.