ગુજરાતમાં શરૂ થનાર ઇસ્લામિક બેંકિંગ શું છે? જાણો અહીં..
શરિયા-સુસંગત અથવા ઇન્ટરેસ્ટ ફ્રી બેંકિંગની રજૂઆત માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કન્વેન્શનલ બેંકોમાં ઇસ્લામિક વિન્ડો ખોલવાની દરખાસ્ત કરી હતી. શું છે ઇસ્લામિક બેંકિંગ જાણો અહીં..
ભારતમાં ટૂંક સમયમાં જ ઇસ્લામિક બેંકિંગ ની સુવિધા શરૂ થઇ શકે છે. જે માટે ગુજરાત પર પસંદગી ઉતારવામાં આવી છે. ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક ટૂંક સમયમાં જ ગુજરાતથી તેની કામગીરી શરૂ કરશે. ગત વર્ષે એપ્રિલમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઇની મુલાકાતે ગયા હતા, ત્યારે ભારતીય એક્ઝિમ બેંકે ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક સાથે 100 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી આઇડીબી(ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક)ના સભ્ય દેશને નિકાસ સુવિધા પૂરી પાડી શકાય.
ઉલ્લેખનીય છે કે, શરિયા-સુસંગત અથવા ઇન્ટરેસ્ટ ફ્રી બેંકિંગની રજૂઆત માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કન્વેન્શનલ બેંકોમાં ઇસ્લામિક વિન્ડો ખોલવાની દરખાસ્ત કરવામાં આવી હતી. સમાજના જે વર્ગો ધાર્મિક કારણસોર આ સુવિધામાંથી બાકાત રહે છે, તેમનો પણ આમાં સમાવેશ થાય એ હેતુથી આ દરખાસ્ત કરવામાં આવી હતી.
શરિયા કે ઇસ્લામિક બેંકિંગ એટલે શું?
શરિયા બેંકિંગ કે ઇસ્લામિક ફાયનાન્સ એક એવો સિદ્ધાંત છે, જે હેઠળ દરેક પ્રકારનું વ્યાજ કે ઇન્ટરેસ્ટ પ્રતિબંધિત છે. બેંકિંગનું આ મોડલ રિસ્ક(જોખમ) શેરિંગના ધોરણ પર કામ કરે છે, જે અંતર્ગત ગ્રાહક અને બેંક નિશ્ચિત શરતો પર સંમત થઇ જે-તે રોકાણના જોખમની જવાબદારી ઉઠાવે છે. બેંક અને ગ્રાહક વચ્ચે માત્ર જોખમ જ નહીં, પરંતુ નફાની વહેંચણી પણ આ જ શરતોને આધારે થાય છે.
ઇસ્લામિક ફાયનાન્સના પાંચ મુખ્ય પ્રકારો છે; ઇજારા, ઇજારા-વા-ઇક્તિના, મુદરબા, મુરાબાહા, મુશારકા
- ઇજારા - આ એક ભાડાપટ્ટાનો કરાર છે, જેમાં બેંક પહેલાં ગ્રાહક પાસેથી કોઇ એક ચોક્કસ વસ્તુ ખરીદે છે અને ત્યાર બાદ ચોક્કસ સમયગાળા માટે તેને પાછું ભાડા પટ્ટા પર આપે છે.
- ઇજારા-વા-ઇક્તિના - આ કરાર ઇજારા સમાન છે, અહીં એક માત્ર ફરક એ છે કે કરારને અંતે ગ્રાહક પોતાની વસ્તુ પાછી ખરીદવા સક્ષમ છે.
- મુદરબા - આ કરાર હેઠળ, ફાયનાન્શિયલ એક્સપર્ટ દ્વારા એક વિશેષ રોકાણની ઓફર કરવામાં આવે છે, જે હેઠળ બેંક અને ગ્રાહક વચ્ચે નફાની વહેંચણી થાય છે. જો રોકાણમાં નાણાંનું નુકસાન થાય તો એ ખોટ ગ્રાહકે ભોગવવાની રહે છે. બેંક હેન્ડલિંગ ફીની ચૂકવણી સાથે રોકાણમાં નફો થાય તો તેની વહેંચણી કરાય છે.
- મુરાબાહા - આ મૂળભૂત રીતે ઇસ્લામિક ક્રેડિટ છે, જેમાં જોખમની જવાબદારી લેણદારના માથે રહેલી છે. અહીં ગ્રાહક વ્યાજ વગરની લોન ન હોવા છતાં ખરીદી કરી શકે છે. બેંક પહેલાં જે-તે વસ્તુની ખરીદી કરે છે અને ત્યાર બાદ વિલંબિત ધોરણે તે ગ્રાહકને વેચે છે.
- મુશારકા - આ એક રોકાણનો કરાર છે, જેમાં નફા વહેંચણીની શરતો પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે અને રોકાણમાં જો નુકસાન થાય તો એ રોકાણ કરેલી રકમ જેટલો જ હશે એમ માનવામાં આવે છે. અહીં બેંક અને ગ્રાહક સાથે મળીને મિલકત અથવા ચીજવસ્તુની ખરીદી કરે છે. કરાર દરમિયાન ગ્રાહકે બેંકને માસિક ચૂકવણી કરવાની રહે છે અને સાથે ખરીદીમાં બેંકે ચૂકવેલી રકમને આધારિત માસિક ભાડું પણ ચૂકવવાનું રહે છે.
અહીં વાંચો - સરક્રીકમાંથી વધુ એક પાકિસ્તાન બોટ મળી આવી, કુલ સંખ્યા થઇ 4