ઇસ્તંબુલ એટેકમાં મૃત્યુ પામેલી ખુશીનો મૃતદેહ કાલે સવારે લવાશે વડોદરા
તુર્કીના ઇસ્તંબુલમાં એક નાઇટ ક્લબમાં 31 ડિસેમ્બરના રોજ થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલી વડોદરાની ખુશી શાહના મૃતદેહને લઇને તેના બે ભાઇઓ બુધવારે સવારે 9 વાગ્યા સુધીમાં વડોદરા પહોચશે...
તુર્કીના ઇસ્તંબુલમાં એક નાઇટ ક્લબમાં 31 ડિસેમ્બરના રોજ થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલી વડોદરાની જાણીતી ફેશન ડિઝાઇનર ખુશી શાહના મૃતદેહને લઇને તેના બે ભાઇઓ બુધવારે સવારે 9 વાગ્યા સુધીમાં વડોદરા પહોંચે તેવી સંભાવના છે. ખુશીના બંને ભાઇઓ ઇસ્તંબુલમાં પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલય દ્વારા પૂરતી વ્યવસ્થા કરી આપવામાં આવતા ખુશીના બે ભાઇઓએ ઇસ્તંબુલ પહોંચી પોલિસની કાર્યવાહી તેમજ મૃતદેહની ઓળખવિધિ પૂર્ણ કરી હતી. બધી ઔપચારિકતા પૂરી કરી તેઓ બુધવારે સવારે પહેલા મુંબઇ એરપોર્ટ પહોંચશે. મુંબઇ એરપોર્ટથી તેઓ વડોદરા આવશે. ત્યારબાદ ખુશીના નિવાસસ્થાને તેની અંતિમ વિધિ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ખુશીના અવસાન પર મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ શોક પ્રગટ કર્યો હતો અને સંવેદનાપત્ર પાઠવ્યો હતો. ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ અને કલેક્ટર લોચનસિંહ પણ પરિવારજનોને સાંત્વના આપવા માટે ખુશીના ઘરે પહોંચ્યા હતા અને જણાવ્યુ હતુ કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવામાં આવી રહી છે.
ખુશીના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં છેલ્લા દોઢ વર્ષમાં આ ત્રીજી દુખદ ઘટના બની છે. જુલાઇ 2015 માં ખુશીની માતા અને ત્યારબાદ તેના કાકીનું અવસાન થયુ હતુ અને હાલમાં ખુશીના અચાનક થયેલા અવસાનને પગલે પરિવાર પર દુખના ડુંગર તૂટી પડ્યો હતો.