ગાંધીનગરમાં આજે ફિક્સ પગારદારોનું જનઆક્રોશ સંમેલન
રાજ્યભરમાં ફિક્સ પગારદારોના થતા શોષણ સામે આજે ગાંધીનગરમાં જનઆક્રોશ સંમેલન યોજાવાનું છે...
રાજ્યભરમાં ફિક્સ પગારદારોના થતા શોષણ સામે આજે ગાંધીનગરમાં જનઆક્રોશ સંમેલન યોજાવાનું છે. ગુજરાતમાં લગભગ પાંચ લાખ ફિક્સ પગારદારો છે. જન અધિકાર મંચે ચિમકી ઉચ્ચારી છે કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો વાઇબ્રંટ સમિટમાં વિઘ્નો ઉભા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ફિક્સ પગારદરોને શું પેટમાં દુખે છે તેવુ નિવેદન કરતા ફિક્સ પગારદાઓ વધુ ગુસ્સે થયા હતા. જન અધિકાર મંચનું કહેવુ છે કે સરકાર વાઇબ્રંટ સમિટ, પતંગોત્સવ, રણોત્સવ જેવા ઉત્સવો પાછળ કરોડોનો ધૂમાડો કરે છે અને ફિક્સ પગારદારોનું શોષણ કરી પૂરતો પગાર આપી શકતી નથી. જન અધિકાર મંચ છેલ્લા બે વર્ષથી ફિક્સ પગારદારોના શોષણ મુદ્દે લડી રહ્યુ છે.
જન અધિકાર મંચને ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને દલિત યુવા આગેવાન જીગ્નેશ મેવાણીએ પણ ટેકો આપ્યો હતો અને ફિક્સ પગારદારોને આ સંમેલનમાં જોડાવા અપીલ કરી હતી. પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો વાઇબ્રંટ સમિટમાં વિઘ્ન ઉભુ કરવાની સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.