અલ્પેશ-જીગ્નેશની હાજરીમાં યોજાયુ જનઆક્રોશ મહાસંમેલન, 35 કાર્યકર્તાઓની અટકાયત
આજે ગાંધીનગરમાં જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અલ્પેશ ઠાકોર, જેગ્નેશ મેવાણી, દિનેશ બાંભણિયા અને પ્રવિણભાઇ રામ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા...
ગુજરાતના જન અધિકાર મંચ દ્વારા છેલ્લા બે વર્ષથી ફિક્સ પગારદારો સાથે થઇ રહેલ શોષણ સામે લડત ચાલી રહી છે. અલગ અલગ જિલ્લાઓ બાદ આજે ગાંધીનગરમાં જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અલ્પેશ ઠાકોર, જેગ્નેશ મેવાણી, દિનેશ બાંભણિયા અને પ્રવિણભાઇ રામ સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંજૂરી વગર કરવામાં આવેલ આ સંમેલનમાં 35 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત જન અધિકાર મંચ દ્વારા રાજ્યમાં ફિક્સ પગારદારોનું થતુ શોષણ, કોંટ્રાક્ટ પ્રથા નાબૂદી, યુવા બેરોજગાર, માનદ વેતન પ્રથા, આંગણવાડી તેમજ સફાઇ કર્મચારીઓના શોષણ સહિતના મુદ્દાઓ અંગે લડત ચલાવવામાં આવી રહી છે. જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઇ રામે જણાવ્યુ હતુ કે નાના કર્મચારીઓ તથા લોકોની લડતમાં ક્ષત્રિય ઠાકોર સેના-ઓબીસી એકતા મંચ, એસપીજી, પાસ, દલિત આંદોલનના નેતા તેમજ અન્ય સામાજિક સંગઠનો પણ અમારી સાથે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ફિક્સ પગારદારોનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં છે અને આગામી 10 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.