ગુજરાતના લોકાયુક્ત બનવા જસ્ટીસ મેહતાનો ઇનકાર
લાંબા સમયથી એવી અટકળો હતી કે ગુજરાતના લોકાયુક્ત તરીકે જસ્ટીસ મેહતા પોતાનું પદ ક્યારે સંભાળશે. પરંતુ આજે તેમણે રાજ્યપાલને આ અંગેનો પત્ર લખીને આ પદ નહીં સંભાળવાનો ઇનકાર કરી દીધો. આના માટે તેમણે પોતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની નિમણૂંક માટે ગુજરાત સરકાર દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હતો, જેને પગલે રાજ્યપાલે જસ્ટીસ આર.એ મેહતાના નામની ભલામણ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આ પદ સંભાળવા માટે નિર્દેશ આપ્યા હતાં, જોકે રાજ્ય રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આમ છતાં અંગત કારણોસર તેઓ આ પદની જવાબદારી લાંબા સમયથી ન્હોતા સંભાળી રહ્યા. આજે આખરે તેમણે રાજ્યપાલને પત્ર લખી આ હોદ્દો નહીં સ્વીકારવાનું જણાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં લોકાયુક્તનું પદ ખાલી છે અને હવે આ પદની ભરતી કરવા માટે નવેસરથી પ્રક્રિયા કરવામાં આવશે.