મહેશ શાહનો 9 કલાકની પૂછપરછ બાદ છૂટકારો, આવતીકાલે ફરીથી લેવાશે નિવેદન
13,860 કરોડ રુપિયા જાહેર કરનાર અમદાવાદના વેપારી મહેશ શાહનો 9 કલાકની પૂછપરછ બાદ છૂટકારો કરવામાં આવ્યો છે...
આઇડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડ રુપિયા જાહેર કરનાર અમદાવાદનો વેપારી મહેશ શાહ શનિવારે મીડિયા સમક્ષ હાજર થયા બાદ સરખેજ પોલિસે તેની ધરપક્ડ કરી હતી. ત્યારબાદ તેની સઘન પૂછપરછ શરુ કરવામાં આવી હતી. 9 કલાકની પૂછપરછ બાદ રવિવારે સવારે તેનો છૂટકારો કરવામાં આવ્યો હતો.
9 કલાકની સઘન પૂછપરછ બાદ મહેશ શાહની અપીલ પર ડોક્ટરોની દેખરેખ હેઠળ તેને જમવાનું આપ્યા બાદ આરામ આપવામાં આવ્યો હતો. આવકવેરા અધિકારીએ જણાવ્યુ હતુ કે મહેશ શાહનું આંશિક નિવેદન લેવામાં આવ્યુ છે. હાલમાં તેમને છોડી દેવામાં આવ્યા છે. આવતીકાલે તે આવકવેરા વિભાગની ઓફિસમાં 11.30 કલાકે ફરીથી નિવેદન આપવા માટે હાજર થશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ શાહે સર્ચને લગતા સવાલોના જવાબો આપ્યા છે. હજુ સુધી કોઇના નામ જણાવ્યા નથી. તે પૂછપરછમાં સહયોગ આપી રહ્યા છે.
આ તરફ મહેશ શાહના ઘર પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિવારને 24 કલાક સુરક્ષા આપવામાં આવી છે. તેમના ફ્લેટ મંગલ જ્યોતમાં કોઇ પણ વ્યક્તિની સઘન પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.