કસ્ટોડિયલ ડેથઃ મહેસાણામાં બજારો બંધ, CM રૂપાણીનું નિવેદન
મહેસાણા ક્સ્ટોડિયલ ડેથ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન
મહેસાણાના બલોલ ગામના કેતન પટેલના પોલીસ કસ્ટડીમાં મોતના મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ સહિત પાટીદારોના વિવિધ સંગઠનોએ ગુરૂવારે ઉત્તર ગુજરાત બંધનું એલાન કર્યું હતું. માંડલ SPG (સરદાર પટેલ ગૃપ) અને પાટીદાર યુવાનો દ્વારા માંડલના વિવિધ બજારો બંધ કરાવવામાં આવી હતી. સાથે જ સોમવારના રોજ આ મામલે વિરોધ કરતાં કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યમાં ધરણા પર બેસાવાનો હોવાની પણ ખબરો આવી છે. કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા યોજી આવેદન પત્ર આપશે.
તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આરોપ મુકતાં કહ્યું હતું કે, આ કસ્ટોડિયલ ડેથના મામલાને ચગાવી કોંગ્રેસ પક્ષ રાજરમત રમી રહ્યું છે. રવિવારે વિજય રૂપાણી રાધનપુર તાલુકા પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ કોંગ્રેસની રાજરમત છે. યુવકનું મૃત્યુ જ્યુડિશિયલ કસ્ટડીમાં થયું છે, નહીં કે પોલીસ કસ્ટડીમાં. આ સમગ્ર મામલાની તપાસ જજને સોંપવામાં આવી છે. યુવકના પરિવારની માંગણીને ધ્યાનમાં રાખીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા વીડિયા ગ્રાફીમાં કરાવાઇ છે.
વિજય રૂપાણીએ આગળ કહ્યું કે, આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થશે. સરકાર કોઇને બચાવવા નથી માંગતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાધનપુર તાલુકા ખાતે પોરાણા ગામમાં બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે પહોંચ્યા હતા. તે સમયે મીડિયા સાથે વાત કરતાં તેમણે પાટીદાર યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે નિવેદન આપ્યું હતું.