તાપીમાં PMના હસ્તે 400 કરોડના સુમુલ ડેરી પ્રોજેક્ટનું ઉદઘાટન
પીએમ નરેન્દ્ર મોદી સુરતથી હેલિકોપ્ટરમાં તાપીના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા.
સોમવારે સુરત ખાતે ડાયમંડનું યુનિટનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા તાપી ના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના આગમન સાથે જ ચારે બાજુથી મોદી-મોદીના નારા સંભાળાયા હતા. આખું વાતાવરણ મોદીમય બની ગયું હતું.
બાજીપુરા ખાતે નરેન્દ્ર મોદીએ સુમુલ ડેરીના 400 કરોડના પ્રોજક્ટનું ઉદઘાટન કર્યું હતું. રૂપિયા 400 કરોડની કિંમતના સુમુલ ડેરીના કુલ 6 પ્રોજેક્ટનું ઉદઘાટન શિલાન્યાસ નરેન્દ્ર મોદીની હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ આ સમગ્ર પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાને સુમુલ ડેરીના નવનિર્મિત કેટલફીડ, આઇસ્ક્રીમ, બેકરી, મધ અને દૂધના પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ બાજીપુરામાં 3 લાખથી વધુ પશુપાલક બહેનોની જનમેદનીનું સંબોધન કર્યું હતું.
રાજ્યનો સૌથી મોટો ડોમ
આ સભા માટે રાજ્યનો અત્યાર સુધીનો સૌથી મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. 8.40 સ્કવેર ફીટમાં ઊભા કરવામાં આવેલા આ ડોમમાં ઠંડક માટે જર્મન ટેક્નોલોજીની ફોગર સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે. ગરમી વધુ હોવાને કારણે સભામાં આવનાર પશુપાલક બહેનોને તકલીફ ન પડે એ માટે ડોમ ઊભો કરવામાં આવ્યો છે.
વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે..
અહીં નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં કેમ છો બોલી ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જનસભા સંબોધતા કહ્યું કે, આપ સૌને માથુ નમાવી નમન કરું છું. આ વિસ્તારના 11 લાખ પશુઓ પણ આજે મને આશીર્વાદ આપી રહ્યાં છે. મેં વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે. હું અહીં મુખ્યમંત્રી તરીકે અને એ પહેલાં ભાજપના કાર્યકર્તા તરીકે પણ ઘણીવાર આવ્યો છું. આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ માટે કામ કરવાના સંસ્કાર મળ્યાં છે.
દૂધનું ઉત્પાદન વધારવા પર ફોકસ
તેમણે આગળ કહ્યું કે, દેશમાં કઠોળનું ઉત્પાદન-વિતરણ કરી બતાવીને ખેડૂતોએ સસ્તી દાળ મળતી કરી એ માટે હું તેમનો આભારી છું. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને દૂધનું ઉત્પાદન કઇ રીતે વધારવું તેની પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે ત્યાં આજે પણ માતા અને બહેનો જ પશુપાલન સંભાળે છે. ઘરના પુરૂષોએ પણ વૈજ્ઞાનિક ઢબે આ કામમાં ધ્યાન આપવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, તા.16 અને 17 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. તા.16 એપ્રિલ ને રવિવારના રોજ સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. અહીં 12 કિમી લાંબા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ, સોમવારે સવારે તેમણે સુરતમાં મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા ડાયમંડ યુનિટનું ઉદઘાટન કર્યું હતું. ડાયમંડ યુનિટના ઉદઘાટન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા તાપીના બાજીપુરા ખાતે પહોંચ્યા હતા.
અહીં વાંચો - સુરતના 'હીરા' માટે મોદી જશે ઇઝરાયેલ